ઇઝરાયલ અને હમાસ વચ્ચેનો એક સપ્તાહનો યુદ્ધવિરામ પૂરો થતાંની સાથે જ ગાઝામાં ફરી તબાહી સર્જાઈ છે. શુક્રવારે સમજૂતી તોડતાની સાથે જ ઇઝરાયલે ઝડપી હુમલા શરૂ કરી દીધા હતા. શનિવાર અને રવિવારે તેણે એટલા બધા મિસાઈલ હુમલા કર્યા કે માત્ર બે દિવસમાં 700 લોકોના મોત થયા. એટલું જ નહીં, એજન્સીઓનું કહેવું છે કે ગાઝાના કોઈપણ વિસ્તારમાં રહેવું હવે સુરક્ષિત નથી. ઈઝરાયેલની સેના હવે ગાઝા પર ઉત્તર અને દક્ષિણ બંને તરફથી હુમલો કરી રહી છે. ઈઝરાયેલના ચીફ ઓફ જનરલ સ્ટાફ હરઝી હલેવીનું કહેવું છે કે તેમની સેના બંને દિશામાંથી હુમલો કરી રહી છે.
ઇઝરાયેલી સૈનિકોએ સપ્તાહના અંતે બંને બાજુથી હુમલો કર્યો છે. આટલું જ નહીં, જ્યારે ઈઝરાયેલ મિસાઈલોથી હુમલો કરી રહ્યું છે, ત્યારે સેના પણ ઘણા વિસ્તારોમાં જમીની લડાઈમાં લાગેલી છે. ઇઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં 15,500 થી વધુ પેલેસ્ટિનિયન નાગરિકોના મોત થયા છે. જેમાં 280 મેડિકલ સ્ટાફનો પણ સમાવેશ થાય છે. ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ દિવસે હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. જો કે, બંધકો અને કેદીઓની આપ-લે માટે બંને વચ્ચે એક અઠવાડિયા સુધી યુદ્ધવિરામ હતો, જે હવે સમાપ્ત થઈ ગયો છે.
દરમિયાન, સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પંચનું કહેવું છે કે હવે ગાઝામાં એવો કોઈ વિસ્તાર બચ્યો નથી જ્યાં લોકો આશ્રય લઈ શકે. સંગઠનનું કહેવું છે કે ઈઝરાયલે ગાઝાના જબાલિયા વિસ્તારમાં 6 માળની ઈમારત પર પણ હુમલો કર્યો છે. આ બિલ્ડિંગમાં શરણાર્થીઓ રહેતા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલામાં મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા છે. સંયુક્ત રાષ્ટ્રના નવા અનુમાન મુજબ ગાઝાની 75 ટકા વસ્તી એટલે કે 18 લાખ લોકોએ પલાયન કરવું પડ્યું છે. આ લોકો ખૂબ જ ખરાબ સ્થિતિમાં જીવી રહ્યા છે, જ્યાં તેમને ખોરાકથી લઈને શૌચ સુધીની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
ઉલ્લેખનીય છે કે યુદ્ધવિરામ ખતમ થયા બાદ ઈઝરાયેલે ફરી હમાસને જડમૂળથી ઉખેડવાના પ્રયાસો હાથ ધર્યા છે. ઈઝરાયેલ કહે છે કે અમે હમાસને નષ્ટ કરવા ઈચ્છીએ છીએ. તે આપણા અસ્તિત્વ માટે ખતરો છે અને તેની અવગણના કરવી એ ભૂલ હશે. આ પહેલા પણ બેન્જામિન નેતન્યાહુ કહી ચુક્યા છે કે હમાસના ખતરા ને ઓછો આંકવો એ અમારી ભૂલ હતી.