વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીર અને પોતાની સરકારના 75 મહત્વના દિવસો અંગે વિસ્તારપૂર્વત વાતચીત કરી છે. સામાન્ય રીતે દરેક સરકાર 100 દિવસ બાદ પોતાનો રિપોર્ટ કાર્ડ લોકો સમક્ષ રજૂ કરતી હોય છે, પરંતુ પીએમ મોદીએ 75 દિવસે જ પોતાનો રિપોર્ટ કાર્ડ લોકો સામે મુકી દીધો છે. કાશ્મીર વિશે અને દેશમાં લોકશાહી વિશેની ચિંતા બાબતે મોદીએ કહ્યું કે, કાશ્મીરે આટલી મજબૂત લોકશાહી ક્યારેય જોઇ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમાચાર એજન્સી IANSને વડાપ્રધાન પદે ચૂંટાયા પછી પ્રથમ ઈન્ટરવ્યુ આપ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિવિધ મુદ્દાઓ પર વિસ્તારથી વાત કરી હતી. તેમણે કહ્યું કે, બીજી વખત અમે સરકાર બનાવ્યા પછી ખૂબ ઝડપથી કામમાં પ્રગતિ આણી છે. અમારી દિશા નક્કી છે. અમે સ્પષ્ટ નીતિ અને સ્પષ્ટ દિશાનાં સિંદ્ધાતથી કામ કરીએ છીએ. છેલ્લા 75 દિવસમાં અમે ઘણું બધું કર્યું છે. બાળકોની સલામતીથી માંડીને ચંન્દ્રયાન-2, ભ્રષ્ટાચારથી મુસ્લિમ મહિલાઓને ત્રિપલ તલાકમાંથી મુક્તિ, કાશ્મીરથી કિસાન, આ તમામ ક્ષેત્રે અમે બતાવ્યું કે, એક મજબુત સરકાર શું કરી શકે. નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું કે, અમારી સરકાર બીજી વખત મજબૂત મેન્ડેટ સાથે ચૂંટાઇને આવી. છેલ્લા પાંચ વર્ષમાં અમે મજબૂત પાયો નાંખ્યા. આના કારણે અમે છેલ્લા 75 દિવસમાં ઘણું બધું કરી શક્યા. લોકોની આંકાક્ષાઓ પૂરી કરીશું. 17મી લોકસભામાં રેકોર્ડ બ્રેક કામગીરી થઇ.