અમદાવાદના નિકોલ વિસ્તારમાં ભોજલધામ નામની બિલ્ડીંગમાં પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. અમદાવાદમાં એક અઠવાડીયામાં બીજી મોટી દુર્ઘટના બની છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં ભોજલધામ બિલ્ડીંગની પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી થતાં 10થી વધુ લોકો દટાયાં હોવાની આશંકા સેવાઇ રહી છે. બનાવની જાણ થતા 7થી વધુ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયર બ્રિગેડના કર્મચારીઓએ 6 લોકોને સત્વરે બહાર કાઢ્યા છે. જ્યારે અન્ય દટાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે, ગત અઠવાડીયે બોપલમાં તેજસ સ્કૂલ પાસે આવેલી ૨૦ વર્ષથી વધુ જૂની જર્જરીત પાણીની ટાંકી ધડાકા સાથે ધરાશાયી થઇ હતી. જેમાં ટાંકીની બાજુમાં આવેલા કેટરીંગના ગોડાઉનના શેડ લોકો પર પડતાં ૯ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા તુરંત ઘાયલોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ૩ના મોત થયા. ત્યારે વધુ એક આવી ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.