જમ્મુ-કાશ્મીર મામલે ચારેય બાજુથી ઘેરાયેલુ અને હતાશ-નિરાશ થયેલુ પાકિસ્તાન હવે ભારતને ડરાવવા પર ઉતર્યુ છે. પાકિસ્તાને પોતાની સૌથી શક્તિશાળી મિસાઇલ ‘ગજનવી’નુ પરીક્ષણ કર્યુ છે. ઇમરાન ખાન ભારત સામે યુદ્ધ કરવાની ધમકી આપી ચૂક્યા છે, ત્યારે આ ‘ગજનવી’ મિસાઇલનું પરીક્ષણે સૌનુ ધ્યાન ખેંચ્યુ છે. પાકિસ્તાનનું ગજનવી મિસાઈલનું પરીક્ષણ કરવું તે દુનિયાને તણાવનો સંદેશ આપવાનો પ્રયત્ન હોય તેવું માનવામાં આવી રહ્યું છે. પાકિસ્તાને મિસાઈલ પરીક્ષણ માટે પોતાની નેવીને એલર્ટ જાહેર કરવાની સાથે જ કરાંચીના ત્રણ વાયુ માર્ગ બંધ કરી દીધા હતા. પાકિસ્તાનના નાગર વિમાનન પ્રાધિકરણે 28 ઓગસ્ટના રોજ ચાર દિવસ માટે ત્રણ વાયુમાર્ગ બંધ કરવાની જાહેરાત કરી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે સમજૂતી અનુસાર કોઈપણ પરીક્ષણની સૂચના ઓછામાં ઓછા ત્રણ દિવસ પહેલા આપવાની હોય છે. પાકિસ્તાન દ્વારા આની સૂચના પહેલા જ ભારતને આપવામાં આવી ચૂકી છે. પાકિસ્તાને આની સૂચના 26 ઓગસ્ટના રોજ ભારતીય અધિકારીઓ સાથે શેર કરી દીધી હતી.