વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના વ્લાદિવોસ્તોક શહેરમાં આયોજિત ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમને સંબોધિત કરતા કહ્યું કે તે રાષ્ટ્રપતિ પુતિનના વિઝનથી પ્રભાવિત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના બે દિવસીય પ્રવાસના ભાગ રૂપે રશિયાના વ્લાદિવોસ્તોકમાં છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત-રશિયાની મિત્ર પર વાતચીત કરી હતી અને પોતાની નીતિઓને દુનિયા સામે રજુ કરી હતી. ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હ્તું કે, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતીને આ કાર્યક્રમ માટે મને ભારતમાં યોજાયેલી ચૂંટણી પહેલા આમંત્રણ આપ્યું હ્તું. 130 કરોડ લોકોએ મારા પર વિશ્વાસ દાખવ્યો છે. વડાપ્રધાને કહ્યું કે મારી સરકાર એક્ટ ઈસ્ટ મિશન પર કામ કરી રહી છે. ભારત અને રશિયા વચ્ચે અંદાજે 50થી વધારે સમજૂતી થઈ છે. ભારત પ્રકૃતિને બચાવવા માટે પણ પગલાં લઈ રહી છે. પીએમ મોદીએ કહ્યું કે, પૂર્વ હિસ્સામાં વિકાસ માટે ભારતે 1 બિલિયન ડોલરની લાઈન ઓફ ક્રેડિટ આપી છે. પીએમ મોદીએ આ દરમિયાન રશિયાના પૂર્વી ભાગના તમામ 11 ગવર્નરોને ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે આજે ભારત અને રશિયાના સંબંધ ઐતિહાસિક છે. ભારત અને રશિયા મળીને સ્પેસની દુરી પાર કરશે અને સમુદ્રની ઉંડાઇ માપશે. એમણે કહ્યું કે જલ્દી જ ચૈન્નઇ અને વ્લાદિવોસ્તોક વચ્ચે શિપ ચાલશે.