રાજકોટ : દેશનાં સોમનાથ સહિતનાં મંદિરો ઉપરાંત વિશ્વમાં પણ પ્રખ્યાત છે રાજકોટની પાઘડી

admin
2 Min Read

રંગીલું રાજકોટ હંમેશા કંઈક નવું અને અલગ કરવા માટે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. અહીંની અનેક વસ્તુઓએ વિશ્વમાં ખાસ પ્રસિદ્ધિ મેળવી આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ત્યારે શહેરનાં એક યુવક દ્વારા બનાવવામાં આવતી પાઘડીઓ પણ વિશ્વમાં ખૂબ પ્રખ્યાત છે. આ પાઘડીઓ સોમનાથ- મહાકાલેશ્વર સહિતનાં જ્યોતિર્લિંગ અને દેશભરનાં વિવિધ મંદિરો ઉપરાંત લંડન-જર્મની સહિત વિશ્વનાં અનેક દેશોમાં મોકલવામાં આવે છે. અને આ તમામ દેશોમાં અહીંની પાઘડીએ પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. ઉજ્જૈનનાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ ખાતે સૌપ્રથમ પાઘડી મોકલનાર અંકુરભાઈ વાઢેર જણાવે છે કે, આ આપણું સદભાગ્ય છે કે, ઉજ્જૈનમાં જ્યારથી પાઘડી ચડાવવાની શરૂઆત થઈ છે ત્યારથી સૌપ્રથમ પાઘડી રાજકોટનાં એક ભક્ત મારફત મારી પાઘડી ત્યાં પણ પહોંચી હતી.

ત્યારબાદ હવે ટ્રાન્સપોર્ટ મારફત દર મહિને 25 જેટલી પાઘડીઓ ત્યાં જાય છે. અને ત્યાંની લોકલ બજારમાં પણ અહીંની પાઘડી વેંચાય છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ સિવાય સોમનાથ જ્યોતિર્લિંગ અને મધ્યપ્રદેશ-હિમાચલ પ્રદેશ સહિતનાં વિવિધ મંદિરોમાં પણ અહીંથી પાઘડીઓ મોકલવામાં આવે છે. જેમાં 10 ઇંચથી લઈને 90 ઇંચ સુધીની પાઘડીઓ સામેલ છે. આ સિવાય મારી તમામ પ્રોડક્ટ ઇન્ડિયામાર્ટમાં અપલોડ કરેલી છે. તેમજ ઘનશ્યામ મહારાજનો સંપૂર્ણ શણગાર પણ ઓનલાઈન માધ્યમથી અનેક હવેલીઓમાં જાય છે. પોતાની આ સિદ્ધિનો શ્રેય પત્નીને આપતા તેમણે કહ્યું હતું કે, આ કામ પાછળ મારા પત્નીનો ખૂબ જ મોટો ફાળો છે. સિવવાનું અને ડેકોરેશનનું મહત્વનું કામ તે સંભાળે છે. જેના કારણે મારી આ પાઘડીઓ લંડનનાં લેસ્ટ, યુએસએ, જર્મની જાપાન સહિતનાં સ્થળોમાં પ્રખ્યાત બની છે. અને વિશ્વમાં ઠેર-ઠેરથી ઓર્ડરો મળતા થયા છે. ઉપરાંત લગ્ન પ્રસંગોમાં પણ વરરાજા અને મહેમાનો માટે અમારી પાઘડીઓનું લોકો એડવાન્સ બુકીંગ કરાવે છે

Share This Article