IPL 2024નો એલિમિનેટર બુધવારે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. જો કે આ મેચ પહેલા એક ખરાબ સમાચાર આવ્યા છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની સુરક્ષા સામે ખતરાના કારણે RCBએ પ્રેક્ટિસ સેશન અને પ્રેસ કોન્ફરન્સ રદ કરી દીધી છે. આ મેચ પહેલા આતંકવાદી શંકામાં 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જો કે, હજુ સુધી આ મામલે BCCI કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
મીડિયા અહેવાલો અનુસાર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL 2024 એલિમિનેટર પહેલા રાજસ્થાન રોયલ્સ સામે સુરક્ષાના કારણોસર તેમનું એકમાત્ર પ્રેક્ટિસ સેશન રદ કર્યું હતું. નોકઆઉટ મેચની તૈયારી માટે RCB મંગળવારે અમદાવાદના ગુજરાત કોલેજ મેદાનમાં પ્રેક્ટિસ કરવાની હતી, પરંતુ ટીમે કોઈપણ સત્તાવાર કારણ વગર તેને રદ કરવાનો નિર્ણય લીધો હતો. બીજી તરફ રાજસ્થાન રોયલ્સ ટીમે તે જ જગ્યાએ નેટ પ્રેક્ટિસ કરી હતી. જો કે, ત્યાં કોઈ પ્રેસ કોન્ફરન્સ થઈ ન હતી, જે મહત્વપૂર્ણ IPL નોકઆઉટ મેચની પૂર્વસંધ્યાએ અસામાન્ય છે.
મેચ પહેલા બંને ટીમો એ જ મેદાન પર પ્રેક્ટિસ કરે છે જ્યાં મેચ યોજાવાની છે. પરંતુ રાજસ્થાન અને બેંગલુરુના કિસ્સામાં આવું બન્યું ન હતું, કારણ કે આઈપીએલ ક્વોલિફાયર 1 કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે મંગળવારે એક જ મેદાન પર રમાઈ હતી અને તેથી તે રાજસ્થાન અને બેંગલુરુ માટે ઉપલબ્ધ નહોતું. ગુજરાત કોલેજનું મેદાન RCB અને RRની ટીમોને વિકલ્પ તરીકે આપવામાં આવ્યું હતું.
બંગાળની આનંદબજાર પત્રિકાએ ગુજરાત પોલીસ અધિકારીઓને ટાંકીને દાવો કર્યો છે કે વિરાટ કોહલી સુરક્ષા માટે ખતરો હતો, જેના કારણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેમનું પ્રેક્ટિસ સેશન રદ કર્યું હતું અને બંને ટીમોએ પ્રેસ કોન્ફરન્સ ન કરવાનો નિર્ણય લીધો હતો. ગુજરાત પોલીસે સોમવારે રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી આતંકવાદી પ્રવૃતિની શંકાના આધારે ચાર લોકોની ધરપકડ કરી હતી. પોલીસે ચારેય આરોપીઓના છુપાયેલા સ્થળની શોધખોળ કર્યા બાદ હથિયારો, શંકાસ્પદ વીડિયો અને ટેક્સ્ટ સંદેશાઓ કથિત રીતે જપ્ત કર્યા છે.