ભારત સામે ચાલી રહેલી 5 મેચની T20 શ્રેણી વચ્ચે ઓસ્ટ્રેલિયાએ પોતાની ટીમમાં મોટા ફેરફારો કર્યા છે. આજે ગુવાહાટીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી T20 રમાશે. આ મેચ પહેલા સ્ટીવ સ્મિથ-ગ્લેન મેક્સવેલ સહિત 6 ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે, આ તમામ ખેલાડીઓ ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ કપ ટીમનો ભાગ હતા. વર્લ્ડ કપ 2023 સમાપ્ત થયા પછી, આ ખેલાડીઓએ પ્રથમ બે T20 મેચોમાં ભાગ લીધો હતો. સ્ટીવ સ્મિથ અને એડમ ઝમ્પા સ્વદેશ પરત ફર્યા છે, જ્યારે ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનિસ, જોશ ઈંગ્લિશ અને સીન એબોટ આવતીકાલે ઓસ્ટ્રેલિયા જશે.
વિકેટકીપર-બેટ્સમેન જોશ ફિલિપ, બેન મેકડર્મોટ, બેન દ્વારશુઈસ અને સ્પિનર ક્રિસ ગ્રીનને ભારત સામેની બાકીની ત્રણ મેચ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ફિલિપ્સ અને મેકડર્મોટ પહેલેથી જ ટીમ સાથે હતા તેથી તેઓ આજે ગુવાહાટીમાં યોજાનારી ત્રીજી T20 માટે ઉપલબ્ધ રહેશે. અન્ય ત્રણ ખેલાડીઓ ચોથી મેચ પહેલા રાયપુરમાં ટીમ સાથે જોડાશે.
આ ફેરફારો પછી, ટ્રેવિસ હેડ ઓસ્ટ્રેલિયાની વિશ્વ કપ વિજેતા ટીમનો એકમાત્ર એવો ખેલાડી છે જે ભારત સામેની T20 શ્રેણીનો ભાગ બનશે. હેડની જોરદાર ઇનિંગ્સના આધારે ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ભારતને હરાવીને 6મું ટાઇટલ જીત્યું હતું.
ઓસ્ટ્રેલિયા હવે માત્ર 13 ખેલાડીઓ સાથે ભારત સામે ત્રણ T20 રમશે. તનવીર સંઘા રિઝર્વ ખેલાડી તરીકે ટીમ સાથે પ્રવાસ કરશે.
ભારત સામેની બાકીની ત્રણ મેચો માટે ઓસ્ટ્રેલિયાની ટીમ – મેથ્યુ વેડ (કેપ્ટન), જેસન બેહરેનડોર્ફ, ટિમ ડેવિડ, બેન દ્વારશુઈસ, નાથન એલિસ, ક્રિસ ગ્રીન, એરોન હાર્ડી, ટ્રેવિસ હેડ, બેન મેકડર્મોટ, જોશ ફિલિપ, તનવીર સંઘા, મેટ શોર્ટ, કેન. રિચાર્ડસન