રાજ્યમાં આગની ઘટનાઓ સતત વધી રહી છે. આપણે દરરોજ અખબારોમાં આગ લાગવાના અહેવાલો વાંચતા જ હોઈએ છીએ. ઉલ્લેખનીય છે કે મોટા ભાગની આગ શોર્ટ સર્કીટના કારણે લાગતી હોવાના તારણો સામે આવતા હોય છે. ત્યારે સુરતમાં છેલ્લા 2 મહિનાથી બંધ પડેલા સાડીના કારખાનામાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પ્રાપ્ત વિગત મુજબ, સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલા રોડ નંબર 6 પર સોલાપુર ગ્રાઉન્ડ પર આવેલા સાડીના બંધ કારખાનામાં આગ ભભૂકી ઉઠી હતી. જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જો કે કયા કારણો સર આગ લાગી હતી તે કારણ જાણી શકાયું નથી. પણ જાણકારી મુજબ કારખાનામાં કારખાનેદારની બેદરકારીના કારણે કોલસામાં આગ લાગી હોવાની પણ વાતો ચર્ચાઈ રહી છે. આગના પગલે ફાયર ફાઈટરને જાણ કરાતા ફાયરની 7 ગાડીઓ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે આ કારખાનું છેલ્લા 2 મહિનાથી બંધ હાલતમાં હતું.
![](https://www.thesquirrel.in/wp-content/uploads/2019/08/WhatsApp-Video-2019-08-19-at-9.00.52-AM.mp4.00_00_16_26.Still002.jpg)