વર્તમાન નાણાકીય વર્ષનું બજેટ વિવિધ રાજ્ય સરકારો દ્વારા રજૂ કરવામાં આવી રહ્યું છે. કર્ણાટક બાદ હવે ત્રિપુરાના નાણામંત્રી પ્રણજીત સિંહ રોયે નાણાકીય વર્ષ 2023-24 માટે 27,654 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે. રાજ્ય સરકાર દ્વારા રજૂ કરાયેલા બજેટમાં કોઈપણ પ્રકારના ટેક્સની જોગવાઈ નથી. ચોમાસુ સત્રના પ્રથમ દિવસે બજેટ રજૂ કરતા રોયે જણાવ્યું હતું કે રાજ્યની અર્થવ્યવસ્થા 8 ટકાના દરે વૃદ્ધિ પામે તેવી શક્યતા છે.
નાણાપ્રધાન પ્રણજીત સિંહ રોયે જણાવ્યું હતું કે મૂડી રોકાણ રૂ. 5,358.70 કરોડ નક્કી કરવામાં આવ્યું છે. જે ગત નાણાકીય વર્ષ કરતાં 22.28 ટકા વધુ છે. બજેટમાં 611.30 કરોડની ખાધનો અંદાજ છે. મંત્રીએ કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત યોજનાની તર્જ પર આરોગ્ય વીમા યોજના ‘મુખ્યમંત્રી જન આરોગ્ય યોજના-2023’ (CM-JAY) શરૂ કરવાની દરખાસ્ત કરી. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારનું ‘CM-JAY’ બાકીના 4.75 લાખ પરિવારોને આવરી લેશે (જે આયુષ્માન ભારત હેઠળ આવતા નથી).
આ યોજના હેઠળ દર વર્ષે પરિવાર દીઠ 5 લાખ રૂપિયા સુધીના વીમા લાભો આપવામાં આવશે. રાજ્ય સરકારના કર્મચારીઓ પણ તેના દાયરામાં આવશે. આ યોજના માટે સરકાર દર વર્ષે લગભગ 589 કરોડ રૂપિયા ખર્ચ કરશે. આ ઉપરાંત, ઉચ્ચ શિક્ષણ માટે પ્રેરિત કરવા માટે ધોરણ 12માં સૌથી વધુ માર્ક્સ મેળવનારી ટોપ 100 છોકરીઓને મફત સ્કૂટર આપવા માટે નવી યોજના ‘મુખ્ય મંત્રી કન્યા આત્મનિર્ભર યોજના’ શરૂ કરવાનો પ્રસ્તાવ પણ છે. નોર્થ ઈસ્ટ સ્પેશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સ્કીમ (NESIDS) હેઠળ 35 કરોડના અંદાજિત ખર્ચ સાથે અગરતલામાં ગાંધીઘાટ ખાતે પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રમોશન સેન્ટર વિકસાવવાની પણ દરખાસ્ત છે.
