એમ.એસ.યુનિવર્સીટી ની વિદ્યાર્થીની દ્વારા એનિમલ વેલ્ફેરના ઉમદા ઉદ્દેશ્યથી તૈયાર કરાયેલા પેઇન્ટિંગસની પ્રદર્શની રાખવામાં આવી હતી.
શહેરના ગોરવા વિસ્તારમાં રહેતી પ્રેરણા જોશીએ તૈયાર કરેલા 45 જેટલા ધાર્મિક અને પ્રાણીઓના ચિત્રો તેમજ આલ્કોહોલ ઇન્ક દ્વારા તૈયાર કરેલા ફ્લુઇડ આર્ટના ચિત્રોનું પ્રદર્શન યોજાયું હતું. જણાવી દઈએ કે આ પ્રદર્શન પી.એન.ગાડગીલ એન્ડ સન્સ આર્ટ ગેલેરી ખાતે 20 ઓગષ્ટ સુધી નિહાળી શકાશે. પ્રેરણા જોશી એમ.એસ.યુનિવર્સિટીની બી.બી.એ ફેકલ્ટીમાં પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરી રહી છે. ચિત્રોના શોખની સફર વિશે તેણે જણાવ્યું હતું કે, પેઇન્ટિંગ મારો શોખ છે.
ધોરણ 12ના વેકેશનથી મને ચિત્રો દોરવાનો શોખ જાગ્યો હતો. તેમજ આ દરમિયાન મને પ્રાણીઓ પ્રત્યે એક વિશેષ લગાવ થયો હતો. મેં મારા ચિત્રોના માધ્યમથી તે દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. મેં ધાર્મિક અને પ્રાણીઓના ચિત્રા તેમજ ફ્લડ ઓફ કલર્સ થીમ પર એકરેલીક અને આલ્કોહોલ ઇન્ક દ્વારા ફ્લુઈટ આર્ટ બનાવી છે તેમજ અન્ય એબ્સટ્રેક્ટ આર્ટ છે.
વધુમાં પ્રેરણાએ જણાવ્યું હતું કે મારા આ પ્રદર્શનમાંથી જે કંઈ રકમ એકઠી થશે તેનો ઉપયોગ હું એનિમલ વેલ્ફેર માટે કરીશ. મેં મારાં ચિત્રોના માધ્યમથી પ્રાણી પ્રત્યે પ્રેમભાવ રાખવાનો સંદેશો આપવાનો પ્રયત્ન કર્યો છે.