એશિયા કપ 2023માં અત્યાર સુધીમાં કુલ ચાર મેચ રમાઈ છે, જેમાંથી બે પાકિસ્તાનમાં જ્યારે બે શ્રીલંકામાં યોજાઈ છે. કેન્ડી, શ્રીલંકાના પલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાનની મેચ, જે 2 સપ્ટેમ્બરે રમવાની હતી, તે વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. આ સ્ટેડિયમમાં 31 ઓગસ્ટે બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે મેચ રમાઈ હતી, જે શ્રીલંકાએ પાંચ વિકેટે જીતી હતી. શ્રીલંકામાં કેન્ડી અને કોલંબોમાં મેચ રમાઈ રહી છે. કોલંબો અને કેન્ડી બંનેમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના વડા ઝકા અશરફે આ અંગે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના વડા જય શાહ સાથે વાત કરી છે. જય શાહ એસીસીના વડા તેમજ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના સચિવ છે. પાકિસ્તાની મીડિયા અનુસાર, ઝકા અશરફે કહ્યું છે કે એશિયા કપ 2023ની બાકીની મેચો પાકિસ્તાનમાં શિફ્ટ કરવી જોઈએ.
શ્રીલંકામાં સતત વરસાદની આગાહી છે, જેને ધ્યાનમાં રાખીને પહેલાથી જ સ્થળ બદલવાની વાત ચાલી રહી છે. એવા અહેવાલો પણ હતા કે મેચો કોલંબો અને કેન્ડીથી દામ્બુલામાં શિફ્ટ કરવામાં આવશે. બીજી તરફ પાકિસ્તાની મીડિયાના સમાચારનું માનીએ તો ઝકા અશરફે જય શાહને બાકીની મેચો પાકિસ્તાનમાં કરાવવાનો વિકલ્પ આપ્યો છે, આ સિવાય બાકીની મેચો દુબઈમાં પણ કરાવવા અંગે વિચારણા થઈ શકે છે.
પાકિસ્તાનમાં હજુ બે વધુ મેચ રમવાની બાકી છે, જે 5 સપ્ટેમ્બરે અફઘાનિસ્તાન વિરુદ્ધ શ્રીલંકા અને 6 સપ્ટેમ્બરે સુપર-4 મેચ છે. પાકિસ્તાન સુપર-4માં પહોંચી ગયું છે અને તેનો મુકાબલો બી ગ્રુપની બીજી ટીમ સાથે 6 સપ્ટેમ્બરે ગદ્દાફી સ્ટેડિયમમાં થશે. ફાઈનલ સહિતની આગામી તમામ મેચો શ્રીલંકાના કોલંબોમાં યોજાવાની છે. પાકિસ્તાન એશિયા કપ 2023નું સંપૂર્ણ આયોજન કરવાનું હતું, પરંતુ BCCIએ સ્પષ્ટપણે કહ્યું હતું કે તે પોતાની ક્રિકેટ ટીમને પાકિસ્તાનમાં રમવા માટે નહીં મોકલે.
આવી સ્થિતિમાં એશિયા કપ 2023 હાઇબ્રિડ મોડલમાં યોજવો પડ્યો. જેમાં ચાર મેચ પાકિસ્તાનમાં જ્યારે નવ મેચ શ્રીલંકામાં યોજાઈ રહી છે. હાલમાં પાકિસ્તાનમાં બાકીની તમામ મેચો શિફ્ટ થવાની કોઈ શક્યતા જણાતી નથી. શક્ય છે કે બાકીની મેચો દાંબુલા અથવા દુબઈમાં યોજાય.