મુખ્યમંત્રી બન્યાનાં લગભગ 3 અઠવાડિયા બાદ યેદિયુરપ્પાએ પોતાના મંત્રીમંડળમાં 17 મંત્રીઓને સામેલ કરી લીધા છે. 26 જુલાઈએ સત્તા મળી અને 29 જુલાઈએ બહુમતી સાબિત કર્યા પછી યેદિયુરપ્પા કેબિનેટનું પ્રથમ વાર વિસ્તરણ કરવામાં આવ્યું છે. કર્ણાટક રાજ્યનાં રાજ્યપાલ વજુભાઈ વાળાએ રાજભવન ખાતે મંત્રીઓને પદ અને શપથ લેવડાવ્યા હતા. જેમાં ગોવિંદ કરજોલ, અશ્વત નારાયણ, લક્ષમણ સંગપ્પા સાવદી, કેએસ ઈશ્વરપ્પા, આર અશોકા, જગદીશ શેટ્ટાર, બી શ્રીરામુલુ, એસ સુરેશ કુમાર, વી સોમન્ના, સીટી રવિ, વાસવરાજ બોમ્માઈ, કોટા શ્રીનિવાસ પૂજારી, જેસી મધુ સ્વામી, ચંદ્રકાંતગૌડા ચન્નપ્પાગૌડા પાટિલ, એસ નાગેશ, પ્રભુ ચૌહાણ અને જોલે શશિકલા અન્નાસાહેબે મંત્રી પદનાં સપથ લીધા હતા. સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર યેદિયુરપ્પા સોમવારે અમિત શાહ અને જેપી નડ્ડાની મુલાકાત માટે દિલ્હી પહોંચ્યા હતા અને તેમની સાથે ચર્ચા કરી 17 મંત્રીના નામોની પસંદગી કરવામાં આવી હતી. પરંતું કોને કઈ જવાબદારી સોંપવી તે અંગે હજુ સુધી કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી.