ડેરોલ સ્ટેશન ગામમાં રેલ્વે ઓવરબ્રીજની અધૂરી કામગીરી

admin
2 Min Read

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં આવેલાં ડેરોલ સ્ટેશન ગામમાં રહેતા લોકો અને અવર જવર કરતા લોકો રેલ્વે ઓવરબ્રીજની અધૂરી કામગીરીના કારણે પરેશાન છે. કેમ કે, આ ગામની વચ્ચે રેલ્વે લાઈન પસાર થાય છે. અને આ રેલ્વે લાઈનને લીધે લોકોને અવર જવર કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. આ અંગે સ્થાનિકોએ તંત્રમાં લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં આજદિન સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ડેરોલ સ્ટેશન ગામમાં રેલ્વે ઓવરબ્રીજનું કામ ત્રણ વર્ષ પહેલાં શરૂ કરવામાં આવ્યું હતું. કોઈ અંગત કારણોસર આ કામ બંધ કરવામાં આવ્યું હતું. ત્યારથી આ ગામમાં ઓવરબ્રીજની કોઈ પણ કામગીરી હાથ ધરવામાં આવી નથી. આ ગામ વચ્ચેથી દિલ્હી મુંબઈને જોડતી રેલવે કોરિડોર લાઈન પસાર થાય છે. જેથી ગામ બે ભાગમાં વહેંચાયેલું છે. શાળાઓ અને બજાર રેલ્વે લાઈનની સામેની બાજુએ આવેલાં છે. જેથી સ્થાનિકોને અવર જવર કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ અંગે ગ્રામજનોએ તંત્રમાં રજૂઆત કરી હતી. ત્યાર બાદ ડેરોલ સ્ટેશન ગામમાં ફાટકને બંધ કરીને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું .તેનાથી ગ્રામ જનોની સમસ્યામાં વધારો થયો છે. ગ્રામજનોને ૧ કી.મી.થી વધારે અંતર કાપીને બજાર જવુ પડતું હોય છે. એટલે અહીંના સ્થાનિકોએ સમયનો બચાવ કરવા માટે શોર્ટકટ રસ્તો અપનાવ્યો છે. અને આ સ્થાનિકો રેલ્વે પાટાને ઓંળગીને બજારમાં જાય છે. આમ, ગ્રામજનોએ સમયનો બચાવ માટે અપનાવેલો શોર્ટકટ જોખમી બન્યો છે. છતાં આ વહીવટી તંત્ર સ્થાનિકોની સમસ્યા સામે આંખ આડા કાન કરી રહયુ હોય તેવું લાગી રહયું છે.

Share This Article