કોરોના વાયરસના ઘટતા-વધતા કેસો વચ્ચે રાહતનાં સમાચાર તે છે કે દેશમાં 3 કોરોના વેક્સિન ઝડપથી વિકસિત થઈ રહી છે. તો બીજીબાજુ ભારતમાં કોરોના વાયરસના રુપમાં કોઈ ફેરફાર ન થયો હોવાની પણ વિગત સામે આવી છે. આ અંગેની વિગત ખૂદ પ્રધાનમંત્રી કાર્યાલય પીએમઓ દ્વારા આપવામાં આવી છે.
પીએમઓએ કહ્યું કે, આઈસીએમઆર અને બાયોટેકનોલોજી વિભાગ (DBT) દ્વારા કોવિડ-19 વાયરસના જીનોમ પર કરવામાં આવેલા બે અખિલ ભારતીય અભ્યાસોમાં સામે આવ્યું કે, વાયરસ આનુવંશિક રૂપથી સ્થિર છે અને તેના સ્વરૂપમાં કોઈ મોટો ફેરફાર આવ્યો નથી.
કોવિડ-19ના પ્રભાવી રસી વિકસિત કરવા માટે દુનિયાભરમાં જારી પ્રયાસો વચ્ચે સરકારે કહ્યું કે, ભારતમાં વાયરસના જીનોમ સંબંધી બે અભ્યાસોમાં સામે આવ્યું કે, તે આનુવાંશિક રૂપથી સ્થિર છે અને તેના સ્વરૂપમાં કોઈ મોટો ફેરફાર (મ્યૂટેશન) આવ્યું નથી. મહત્વનું છે કે, આ પહેલા કેટલાક નિષ્ણાંતોએ ચિંતા વ્યક્ત કરી હતી કે કોરોના વાયરસના સ્વરૂપમાં મોટો ફેરફાર થવાથી તેની પ્રભાવી રસી બનાવવામાં વિઘ્ન ઉભુ થઈ શકે છે. પરંતુ કેટલાક હાલના વૈશ્વિક અભ્યાસમાં સામે આવ્યું કે, વાયરસના સ્વરૂપમાં આવતા હાલના ફેરફારોથી કોવિડ-19 માટે આ સમયે વિકસિત કરવામાં આવી રહેલ રસી પર કોઈ અસર થાય એમ લાગી રહ્યુ નથી.