ગુજરાત : રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે પંકજકુમારની વરણી

admin
2 Min Read

ગુજરાત ના નવા મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારની વરણી કરાઈ છે. રાજ્યમાં ખાલી પડેલા આ મહત્વના પદ પર આખરે પંકજ કુમારની પસંદગીની જાહેરાત કરાઈ છે. આ પદ માટે પહેલેથી જ પંકજ કુમારનું નામ ચર્ચામાં હતું. રાજ્યના મુખ્ય સચિવ પદની પસંદગી માટે ત્રણ સિનિયર અધિકારીઓની પેનલ તૈયાર કરવામાં આવી હતી. જેમાં સિનિયર સભ્યોમાં ત્રણ અધિક મુખ્ય સચિવ કક્ષાના અધિકારીઓના નામ સામેલ હતા. આ પદ માટે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તા અને પંચાયત ગ્રામ ગૃહનિર્માણના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાનું નામ ચર્ચામાં હતું. આખરે પંકજ કુમારના નામ પર મહોર લાગી હતી. મુખ્ય સચિવ પદે નિયુક્ત થયેલા પંકજ કુમારનો કાર્યકાળ માત્ર 9 માસ માટે હશે.

પરંતુ આગામી ડિસેમ્બર 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે પંકજ કુમારને વિધાનસભાની ચૂંટણી પૂરી ના થાય અને નવી સરકાર સત્તામાં ન આવે ત્યાં સુધી એક્સ્ટેન્શન આપવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યું છે. નોંધનીય છેકે 31 ઓગસ્ટના રોજ અનિલ મુકિમ નિવૃત થઇ રહ્યા છે. અને, અનિલ મુકિમના અનુગામી તરીકે પંકજ કુમારની નિમણૂંક થઇ છે. પંકજકુમાર મૂળ બિહાર રાજયના વતની છે અને તેઓ 1986 બેચના અધિકારી છે. આ પહેલા IAS અનિલ મુકીમને રાજ્યના મુખ્ય સચિવ તરીકે 6-6 મહિનાનું એક્સટેન્શન અપાયું હતું. જેનો 31મી ઓગસ્ટે કાર્યકાળ પૂરો થવા જઇ રહ્યો છે. જેથી અનિલ મુકિમે છેલ્લી કેબિનેટ બેઠકમાં ભાગ લઈને સૌ-કોઈનો આભાર માન્યો હતો. અનિલ મુકિમ બાદ મુખ્ય સચિવ તરીકે પંકજ કુમાર તથા રાજીવ ગુપ્તા રેસમાં આગળ હતા. જેમાંથી પંકજ કુમારની નવા મુખ્ય સચિવ તરીકે પસંદગી કરવામાં આવી છે. પંકજ કુમાર 31મી ઓગસ્ટે નવા મુખ્ય સચિવ તરીકે કાર્યભાર સંભાળી લેશે.

Share This Article