કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાતના સપૂત અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી 100 માથાવાળા રાવણની સાથે કરતાં ભારતીય જનતા પાર્ટી ગોધરાના કાર્યકરો દ્વારા સતત શબ્દોમાં વિરોધ કરી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સાથે યોગ્ય કાર્યવાહી કરી સખતમાં સખત પગલાં લેવામાં આવે તે માટે માગ પણ કરવામાં આવી હતી.
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના પ્રથમ ચરણનું મતદાન થવા જઈ રહ્યું છે. તેના થોડાક કલાક પહેલા જ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અમદાવાદમાં ચૂંટણી પ્રવાસે હતા. ત્યારે અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં એક જનસભામાં તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માટે અસભ્ય નિવેદન કરી તેમનું અપમાન કર્યું હતું. તેઓએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 100 માથાવાળા રાવણ સાથે સરખામણી કરી હતી
દેશના સૌથી જૂના રાષ્ટ્રીય પક્ષના અધ્યક્ષ ચૂંટણી ટાણે પોતાની ગરિમા ભૂલી કેટલા નીચા સ્તરે જઈ શકે એનો આ પ્રત્યક્ષ દાખલો છે. ગુજરાત ભારતીય જનતા પાર્ટી આ નિવેદનનો સખત વિરોધ કરે છે અને દેશના વડાપ્રધાનનું આવું અપમાન ક્યારેય નહીં સહન કરે અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત અને ગુજરાતની સમગ્ર જનતા મલ્લિકાર્જુન ખડગેના અસભ્ય નિવેદનના આકરા શબ્દોમાં વિરોધ કરી તેમના ઉપર સખતમાં સખત પગલાં લેવામાં આવે તે માટે ગોધરા જિલ્લા કલેકટરને ગોધરાના ભાજપના કાર્યકરો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.