મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં શનિવારે એક ફેક્ટરીમાં બોઇલર ફાટવાથી 5 લોકોના મોત થયા હતા. પોલીસ રિપોર્ટ પ્રમાણે આ દુર્ઘટના માનસ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ નામની ફેક્ટરીમાં બની હતી. આ ફેક્ટરી ઉમરેડ તાલુકાના બેલા ગામમાં છે. અહીં બાયોગેસ પ્લાન્ટ પાસે બપોરે લગભગ સવા બે વાગ્યે દુર્ઘટના બની હતી.
આ બોઈલર બ્લાસ્ટની ઘટનામાં માર્યા ગયેલા લોકોની ઓળખ મંગેશ પ્રભાકર નૌકારકર (ઉં.વ.21), લીલાધર વામનરાવ શિંદે (ઉં.વ.42), વસુદેવ લાડી (ઉં.વ.30), સચિન પ્રકાશ વાઘમારે (ઉં.વ.24) અને પ્રતાપ પાંડુરંગ મૂન (ઉં.વ.25) તરીકે થઇ છે. પોલીસનું કહેવું છે કે, સચિન ફેક્ટરીમાં વેલ્ડરનું કામ કરતો હતો, જ્યારે બાકીના લોકો હેલ્પર હતા.
બ્લાસ્ટમાં મજૂરોને ગંભીર ઇજા થઇ હતી અને ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ થયું હતું. મહત્વનું છે કે, બનાવ બાદ મૃતકોના પરિવારજનો અને ગામના લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. પરિવારજનો તેમજ સ્થાનિકોએ મૃતદેહ સ્વીકારવાની ના પાડી દેતા મામલો ગરમાયો હતો.. તેમની માંગ હતી કે કંપની મેનેજમેન્ટ તરફથી કોઇ અધિકારી આવે ત્યારબાદ જ તેઓ આગળની કાર્યવાહી કરશે. આ અંગે નાગપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી સ્થિતિ થાળે પાડી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.