કોરોના મહામારીના કારણે અનેક વેપાર-ધંધાને મોટાપાયે નુકશાન થયુ છે. ગુજરાતમાં પણ 2 મહિના કરતા વધુ સમય સુધી કોરોના સંક્રમણના કારણે લોકડાઉન લગાવવામાં આવ્યુ હતું જે દરમિયાન વેપાર-ધંધાઓ બંધ રહ્યા હતા. જેને લઈ લોકોને મોટાપાયે આર્થિક નુકશાનીનો સામનો કરવો પડ્યો, જેની અસર ખાનગી ટ્રાવેલ્સના ધંધા પર પણ જોવા મળી હતી. ત્યારે હવે ખાનગી ટ્રાવેલ્સના ભાડામાં 200 રુપિયા સુધીનો ધરખમ વધારો કરવાનો નિર્ણય કરાયો છે. ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોનું કહેવું છે કે, અમારી બસો હજુ પણ ધૂળ ખાઈ રહી છે પ્રવાસીઓ મળી રહ્યા નથી.
(File Pic)
ઉપરાંત ખૂબ જ ઓછી ટ્રીપો ચાલી રહી છે અને તે પણ કોરોના ગાઇડલાઇન્સ પ્રમાણેના પેસેન્જર સાથે, જેથી અમને પોસાય તેમ નથી. લોકડાઉન અંતર્ગત કોરોના કહેર વચ્ચે ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોને ત્રણ હજાર કરોડથી વધુનું નુકસાન થયું હોવાનું પણ ચેરમેન જણાવી રહ્યા છે તેથી હજુ પણ ટેક્સમાં રાહત સરકારે આપવી જરૂરી બને છે, આ મામલે સરકારને રજૂઆત પણ કરવામાં આવી છે.
(અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક મંડળના ચેરમેન મેઘજીભાઈ ખેતાની)
ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોના જણાવ્યા મુજબ, છેલ્લા ત્રણ મહિનામાં ડીઝલાના ભાવમાં પણ સતત વધારો થયો છે. તેમાંય કોરોનાના સંક્રમણના કારણે હવે અનલોકમાં સરકારે કેટલીક શરતો સાથે બસ સેવા શરૂ કરાઈ છે. જેમાં 30 ટકાથી વધુ મુસાફરો બેસાડવાની મંજૂરી આપવામાં આવી નથી. જેના કારણે બસ સંચાલકોને ભાડું પોસાય એમ ન હોવાથી હવે ખાનગી લક્ઝરીઓના ભાડામાં 100થી 200 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.
(File Pic)
જે મુજબ હવે અમદાવાદથી રાજકોટ જવા માટે મુસાફરોએ 550થી 600 રુપિયા ભાડુ ચુકવવુ પડશે, જે પહેલા 350થી 400 રુપિયા હતુ. જ્યારે અમદાવાદથી સુરત માટે 350થી 450 સુધી ભાડુ ચુકવવુ પડશે.