ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ખાદ્યપદાર્થોમાં ભેળસેળના બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે. વર્તમાન યુગમાં યંગસ્ટર્સ ફાસ્ટ ફૂડ વધુ પસંદ કરે છે. બજારમાં ઉપલબ્ધ ફાસ્ટ ફૂડ અને બિનઆરોગ્યપ્રદ વાનગીઓના સેવનને કારણે ઘણી વખત લોકો બીમાર પણ પડે છે. ત્યારે બજારમાં મળતી આવી વાનગીઓ હાનિકારક છે કે કેમ તેની ચકાસણી કરવા પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવે છે. જેમાં ચોંકાવનારી વિગતો વારંવાર સામે આવે છે. ત્યારે આરોગ્ય વિભાગે દેશમાં નામાંકિત આવી KFC રેસ્ટોરન્ટ પર દરોડા પાડ્યા બાદ ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેના કારણે AMCએ રેસ્ટોરન્ટને સીલ કરી દીધું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લોકોની સમસ્યાઓના નિરાકરણ માટે CCRS ફરિયાદ નામની ઓનલાઈન એપ તૈયાર કરી છે. જેના પર ફરિયાદ આવે છે અને કોર્પોરેશનના તે ખાતા દ્વારા કામ કરીને ઉકેલ લાવવામાં આવે છે. ત્યારે આ એપ પર પશ્ચિમ ઝોનના બોડકદેવ વોર્ડમાં આલ્ફા વન મોલની KFC રેસ્ટોરન્ટ અંગે ફરિયાદ મળી હતી. કોર્પોરેશનને કેએફસી રેસ્ટોરન્ટમાં પાણી અને ખાદ્યપદાર્થો અંગે ફરિયાદ મળ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી હતી.
કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા આલ્ફા વન મોલમાં આવેલી કેએફસી રેસ્ટોરન્ટમાં પાણી અને ખાદ્યપદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલ મહાનગરપાલિકાની સેન્ટ્રલ લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા હતા. જેના રિપોર્ટમાં પાણીમાં કોલિફોર્મ અને ફેકલ કોલી બેક્ટેરિયાનું પ્રમાણ વધુ હોવાથી KFCના પાણીના નમૂનાને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા હતા. પાણીના સેમ્પલ અનફીટ જણાતા નોર્થ વેસ્ટ ઝોનના આરોગ્ય વિભાગ દ્વારા KFC રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવી હતી.