લગ્નમાં નાચવા બાબતે બબાલ

admin
2 Min Read

સુરતના રાંદેર રોડ પર આવેલ ઉગત વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં લગ્ન પ્રસંગમાં નાચવા બાબતે થયેલા ઝઘડામાં બે ભાઈઓ પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં એક ભાઈનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું, જયારે બીજા ભાઈને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે. મળતી માહિતી પ્રમાણે, ઉગત વિસ્તારમાં પાણીની ટાંકી પાસે એસએમસી આવાસમાં વિજય શ્રાવણ બોરકર (ઉ.વ. 19) પરિવાર સાથે રહેતો હતો. પાલનપુર જકાત નાકા નજીક કાર સર્વિસ સ્ટેશનમાં નોકરી કરી પરિવારને મદદરૂપ થતો હતો. મિત્ર આકાશની બહેનના ઉગત ઝૂપડપટ્ટીમાં લગ્ન હોવાથી ગત રોજ રાત્રે રાસ-ગરબામાં ગયો હતો. દરમિયાન અન્ય યુવાનો સાથે નાચવા બાબતે ઝઘડો થયો હતો. દરમિયાન ધક્કામુક્કી બાદ વિજય અને તેના મોટા ભાઈ રવિ(ઉ.વ.24) પર કેટલાક યુવાનોએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જેમાં વિજયની છાતીમાં ચપ્પુ ઘૂસાડી દીધું હતું. જેથી ભાઈ રવિ બચાવવા જતા તેને પણ પગના ભાગે ચપ્પુના ઘા માર્યા હતા. ત્યારબાદ હુમલાખોર યુવાનો ભાગી ગયા હતા. ત્યારબાદ ઈજાગ્રસ્ત થયેલા બંને ભાઈઓએ તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ટુંકી સારવારમાં જ વિજયનું મોત નીપજ્યું હતું. વિજયને મૃત જાહેર કરતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક વિજયના ભાઈ રવિના નિવેદન બાદ રાંદેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Share This Article