વિશ્વના અનેક દેશોમાં સર્જાયેલી કોરોના વાયરસની ગંભીર અને અનિશ્ચિત સમસ્યાને લક્ષમાં લઈને, બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા તા. 10-3-2020ના રોજ ગઢડા ખાતે ઉજવવામાં આવનાર આંતરરાષ્ટ્રીય વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ બંધ રાખવામાં આવ્યો છે..
મોટા સામૂહિક મેળાવડા-સમારંભોમાં જવાનું ટાળવું જોઇએ તેવી અપીલ ખુદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહે પોતાના ટ્વીટર હેન્ડલ પરથી જનતાને કરી છે અને જાહેરાત કરી છે કે તેઓ હોળીના સામુહિક કાર્યક્રમોમાં હાજરી આપવાના નથી. ત્યારે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા તા. 10ના રોજ ગઢડામાં ઉજવાનાર આંતરરાષ્ટ્રીય વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ બંધ રાખવામાં આવ્યો છે, જેમાં એક લાખથી વધુ ભક્તો ઉપસ્થિત રહેવાના હતા…
(બીએપીએસ સંસ્થાના વડા પૂજ્ય મહંતસ્વામી)
સંસ્થાના આંતરરાષ્ટ્રીય સંયોજક સાધુ ઈશ્વરચરણદાસજીએ જણાવ્યુ છે કે, ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી અને સ્થાનિક રીતે પરિસ્થિતિ ભયજનક ન હોવા છતાં, આ મહોત્સવમાં ભારતનાં અનેક રાજ્યો તેમજ વિદેશના પણ હજારો હરિભક્તો આવવાના હોવાથી ગુજરાતના જાહેર સ્વાસ્થ્યની જાળવણી માટે આ મહોત્સવ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે…
તેમણે વધુમાં જણાવ્યું છે કે, આ મુખ્ય આંતરરાષ્ટ્રીય મહોત્સવ પૂર્વે પંચ દિવસીય વચનામૃત દ્વિશતાબ્દી પર્વ યોજાયું છે, તેમાં ફક્ત સ્થાનિક ભક્તો જ લાભ લેશે, અન્ય કોઈ સ્થળોના ભક્તો-ભાવિકોએ લાભ લેવા જવું નહીં. આ ઉપરાંત સૌને ખાસ નિવેદન છે કે વ્યક્તિગત, પારિવારિક કે આસપાસના વર્તુળમાં કોઈને પણ શરદી, તાવ, ઉધરસ કે તેવાં ચિન્હો દેખાય તો સત્વરે યોગ્ય મેડિકલ તપાસ કરાવવી જોઈએ…વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ બંધ રાખવામાં આવ્યો હોવાની વિગત અંગેની માહિતી બીએપીએસ સંસ્થાની વેબસાઈટ પર પણ મુકવામાં આવી છે.