સરપુરમાં નવરાત્રિના ગરબા ચાલી રહ્યા હતા તે સમયે કેટલાક શખ્સોએ આવીને મન પસંદ ગીત વગાડવાની જીદ કરી હતી જેથી આગોવનોએ ઇન્કાર કર્યો હતો. જેને લઇને ઉશ્કેરાયેલા શખ્સોએ ઘાતક હથિયારથી હુમલો કર્યો હતો. જેમાં બે મહિલા સહિત ચાર જણા ગંભીર રીતે ઘાયલ થયા હતા. એટલું જ નહી તોફાની ટોળાએ પથ્થરમારો કરીને વાહનોની પણ તોડફોડ કરી હતી. આ ઘટના અંગે ગોમતીપુર પોલીસે ખૂનની કોશિષ અને રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.સરપુર વિસ્તારમાં યુકો બેન્ક સામે પઠાણની ચાલીમાં રહેતા કમળાબહેન.એચ મહાવતએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી મહિલા તથા અન્ય મહિલા સહિત ચાર વ્યક્તિ પર પાઇપ અને ચાકુથી હુમલો કર્યા હતો. આ બનાવના પગલે ગરબામાં દોડધામ મચી જવા પામી હતી. છ જેટલા શખ્સોએ તિક્ષ્ણ હથિયારથી હુમલો કરીને ચાલીમાં પડેલી મારુતી વાન, રિક્ષા અને બાઇકની તોડફોડ કરી હતી. આ ઘટના અંગે ગોમતીપુર પોલીેસે છ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.