જામવાળા ગીરમાં આવેલા જમજીર ધોધનો આહલાદક નજારો કેમેરામાં કેદ થયો છે. મલ્યાસીંગોડા ડેમ 80 ટકા ભરાઈ જતાં ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે. જેના કારણે જમજીરનો ધોધ ફરી વહેતો થયો છે. ધોધના આ રમણીય અને આકર્ષક દ્રશ્યો નિહાળવા માટે સૌરાષ્ટ્ર સહિત દેશ-વિદેશનાં લોકો ઉમટી રહ્યાં છે. જમજીરનો ધોધનું સૌંદર્ય જ એવું છે કે તેને નિહાળવો અને માણવું એ એક અદભૂત લ્હાવો છે. 30 ફૂટ ઉંચાઇથી વહેતા આ ધોધની સાથે સેલ્ફી લેવાના ચક્કરમાં અનેક લોકો જીવ ગૂમાવી દે છે. આ ધોધનાં સૌંદર્યનું જેટલું આકર્ષણ છે તેટલી જ તેની વિકરાળતા પણ છે. જમજીરનાં ધોધને દૂરથી માણવામાં જ ડહાપણ છે. અહીં સૂચનાનાં બોર્ડ તો છે. પરંતુ સિક્યુરીટીનાં નામે મીંડુ છે. ત્યારે સરકાર દ્વારા આ ધોધને ટુરિઝમમાં સમાવવામાં આવે અને અહીં સુરક્ષાના ધારા ધોરણ કડક કરવામાં આવે તે પણ જરૂરી છે.