છત્તીસગઢનાં પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીનું આજે બપોરે લાંબી બિમારી બાદ નિધન થયું હતું. અજીત જોગીને કાર્ડિયાક અરેસ્ટ બાદ રાયપુરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જ્યાં તેમણે સારવાર દરમિયાન આજે અંતિમ શ્વાસ લીધા હતા. અજીત જોગીને વેન્ટીલેટરની મદદથી શ્વાસ આપવામાં આવતો હતો. પણ તેમના મગજની ગતિવિધિઓ ઓછી થઇ રહી હતી અને થોડાક સમયથી તેમની સ્થિતિ નાજુક હતી.
લગભગ 20 દિવસ સુધી જોગી કોમામાં રહ્યા હતા. બુધવારે રાત્રે તેમને ફરી કાર્ડિયેક અરેસ્ટ આવ્યો અને શુક્રવારે તેમની તબિયત વધુ લથડી હતી. જ્યારબાદ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
તેમના નિધનના પગલે રાજકીય નેતાઓએ શ્રદ્ધાજંલિ પાઠવી દુ:ખ વ્યક્ત કર્યુ હતું. ઉલ્લેખનીય છે કે અજીત જોગી છત્તીસગઢના પહેલા મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. કોંગ્રેસ પાર્ટીને વર્ષોથી સેવા આપી ચૂકેલા જોગી મિકેનિકલ એન્જીનિયર હતા. તેમણે તેમના કાર્યકાળમાં છત્તીસગઢના વિકાસના કાર્યો માટે અનેક પ્રયાસ કર્યા હતા. આજે તેમના નિધનથી તેમનો પરિવાર શોકમય બન્યો છે.