સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની ગાઈડલાઈન જાહેર, રાજ્યકક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ ગાંધીનગર ખાતે યોજાશે

admin
2 Min Read

રાજ્યમાં 15 મી ઓગસ્ટના સ્વાતંત્ર પર્વની ઉજવણી મુખ્યમંત્રી દ્વારા રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે કરવામાં આવશે. ત્યારે કોરોના મહામારીના પગલે સ્વાતંત્ર પર્વની ઉજવણીને લઈને પણ ગાઈડલાઈન રાજ્ય સરકારે બહાર પાડી છે. જે મુજબ, મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરમાં રાજ્ય કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી કરશે.

(File Pic)

ત્યારે આ ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સ પર ફોકસ કરવામાં આવશે. જેથી રાજ્યકક્ષાના આ કાર્યક્રમમાં ઓછી સંખ્યામાં લોકોને બોલાવવા અને માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. રાજ્યકક્ષાની ઉજવણીમાં પેરામિલેટ્રી ફોર્સ, પોલીસ અને એનસીસીના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. મળતી માહિતી મુજબ, રાજ્યમાં રાજ્યકક્ષા, જિલ્લા, તાલુકા કક્ષા અને ગ્રામ પંચાયતમાં 15મી ઓગસ્ટની ઉજવણી નિમિત્તે કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખી પગલાઓ લેવાની સૂચના પણ આપવામાં આવી છે. કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખી ડિજિટલ ટેકનોલોજીનો વધારે ઉપયોગ કરવાનું પણ કહેવાયું છે.

(File Pic)

રાજ્યકક્ષાથી ગ્રામ્ય કક્ષા સુધી કોરોના વોરિયર્સ, કોરોનાને માત આપી સાજા થયેલા વ્યક્તિઓને આમંત્રિત આપવા માટે પણ કહેવાયું છે. સાથે જ જિલ્લા કક્ષાથી ગ્રામ્ય કક્ષા સુધી ઉજવણી દરમિયાન સ્ટેજ ઉપર માત્ર પાંચ વ્યક્તિ અને આમંત્રિતોમાં 150 ની સંખ્યા રાખવા માટે પણ આદેશો કરાયા છે. મહત્વનું છે કે, રાજ્યમાં 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વની ઉજવણી મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરમાં કરશે. તો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણામાં હાજરી આપશે. જ્યારે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અમદાવાદમાં 15મી ઓગસ્ટની ઉજવણી કેન્દ્ર સરકારની ગાઇડલાઇન પ્રમાણે કરશે.

Share This Article