89 વર્ષ પૂર્વે 15 ઓક્ટોબર 1932ના રોજ ટાટા કંપનીના જનક જેઆરડી ટાટા એ ટાટા એર સર્વિસની પ્રથમ ફ્લાઇટ કરાંચીથી જુહુનો પ્રારંભ કર્યો હતો. આ ઐતિહાસિક ઘટનાનું પુનરાવર્તન હવે ફરી થશે. બે મહાસાગર પાર કરનારી આરોહી પંડિત 15 ઓકટોબરે એર ઈન્ડિયાનું એરક્રાફ્ટની ભુજથી જુહુની ઉડાન ભરશે. જેઆરડી ટાટાને શ્રદ્ધાંજલિ આપવા માટે બે મહાસાગરો પ્લેન દ્વારા પાર કરનારી વિશ્વની પ્રથમ મહિલા પાયલોટ આરોહી પંડિત સોમવારે ભૂજ આવી પહોંચ્યા છે. ત્યારે ભૂજ નજીકના માધાપર ખાતેના પાટ હનુમાનજી મંદિરમાં તેમનું ટ્રસ્ટીગણ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આરોહીએ સર્વેનો આભાર વ્યક્ત કરી માતાજીની મૂર્તિની આરતી ઉતારી સફળતાની કામના કરી હતી. જિલ્લા મથક ભુજ સમીપે આવેલા માધાપર ગામના પાટ હનુમાનજી મંદિર ખાતે ચાલી રહેલી નવરાત્રિ મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત આરોહી પંડિત ના હસ્તે મા અંબેની આરતી ઉતારવામાં આવી હતી. તેમની સાથે માધાપરની 1971ના યુદ્ધમાં એરસ્ટ્રીપ તૈયાર કરનારી વિરાંગનાઓ પણ જોડાઈ હતી. જેમણે કોરોનાની બીજી લહેર દરમિયાન કોરોના વોરિયર તરીકે પણ ફરજ બજાવી હતી. આરતી બાદ પાટ હનુમાનજી મંદિર સંસ્થાના ટ્રસ્ટી પ્રવીણભાઈ ખોખાણી દ્વારા આરોહી પંડિતનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત બહેનો વડીલોએ અભિનંદન સાથે આગામી એર ટ્રીપ માટે તેમને શુભેચ્છા પાઠવી હતી