રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતાં બજારો, પ્રવાસન સ્થળોએ મોટી સંખ્યામાં લોકોની ચહલપહલ વધી છે. જન્માષ્ટમી અને સળંગ 3થી 4 દિવસની રજા મળતા શહેરીજનો મોટી સંખ્યામાં ફરવાની નીકળી ગયા છે. શહેરના 50 હજારથી વધુ લોકો ગુજરાત, રાજસ્થાન સહિત અન્ય પર્યટન સ્થળોએ ફરવા માટે ગયા છે. જન્માષ્ટમીના તહેવાર પર ફરવા જવા માટે લોકોએ એડવાન્સ બુકિંગ કરાવતા ટુર ઇન્ડસ્ટ્રીઝને વેગ મળ્યો છે. કોરોનાની મહામારીના કારણે ટુર ઇન્ડસ્ટ્રીઝને 2 હજાર કરોડથી વધુનું નુકસાન થયું છે.
બીજી લહેર બાદ જનજીવન ફરી ધબકતું થયું છે અને કોરોનાના કેસો ઘટતા સરકારે પણ અનેક છૂટછાટ આપી છે. ત્યારે લોકોએ પણ જન્માષ્ટમીના તહેવારમાં પરિવાર સાથે ફરવા જવા માટે ટુર પેકેજ એડવાન્સમાં બુક કરાવી દીધા છે. જેના કારણે પ્રવાસન સ્થળો અને ટુર ઇન્ડસ્ટ્રીઝના ધંધાને વેગ મળ્યો છે. ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા, સાપુતારા, સાસણ ગીર, સોમનાથ, દ્વારકા, પોળો તેમજ રાજસ્થાનમાં માઉન્ટ આબુ, કુંભલગઢ અને ઉદયપુરની લગભગ તમામ હોટેલો હાઉસફુલ થઈ ગઈ છે. તો બીજી બાજુ ફરવા જવા માટે કોરોના સંક્રમણથી બચવા માટે લોકો પબ્લીક ટ્રાન્સપોર્ટના બગલે પ્રાઈવેટ વાહનોનો વધુ ઉપયોગ કરી રહ્યા છે.