છેલ્લા ઘણા સમયથી દુનિયાભરમાં કેટલીક વિચિત્ર ઘટનાઓ બની રહી છે. આકાશમાં નવા ગ્રહો અને પૃથ્વી પર કોરોના. આવી સ્થિતિમાં મહારાષ્ટ્રના બુલધના જિલ્લામાં પણ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.
આ જિલ્લામાં લોનાર તળાવનું પાણી અચાનક ગુલાબી રંગનું દેખાવા લાગ્યુ છે. પાણીના રંગમાં અચાનક ફેરફાર થતા લોકો પણ ચોંકી ઉઠ્યા છે. લોનાર તળાવ હંમેશાથી લોકોના મનમાં કૌતુક પેદા કરતું આવ્યું છે. ફરીથી એકવાર તેણે બધાને ચોંકાવી દીધા છે. આ વખતે ઝીલના પાણીનો રંગ બદલાઈ ગયો છે.
સામાન્ય રીતે વાદળી કે લીલા રંગનું જોવા મળતું પાણી હવે ગુલાબી રંગનું થઈ ગયુ છે. આ અનોખા રંગે સ્થાનિક લોકોને જ નહીં પરંતુ વૈજ્ઞાનિકોને પણ અચંબામાં નાખી દીધા છે. લોનારના તહસીલદાર સૈફન નદાફનું કહેવું છે કે છેલ્લા 2-3 દિવસથી અમે ધ્યાન આપ્યું તો જોવા મળ્યું કે તળાવના પાણીનો રંગ બદલાઈ ગયો છે.
અમે વન વિભાગને તેના સેમ્પલ લઈને તપાસ કરવા માટે કહ્યું છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ તળાવ 35-40 હજાર વર્ષ પહેલા એક ઉલ્કાપિંડ ટકરાવવાથી અસ્તિત્વમાં આવેલુ છે. આ ખારાપાણીનું તળાવ છે અને એકદમ ગોળાકાર છે. તેનો વ્યાસ 1.2 કિમી છે. કહેવાય છે કે આ તળાવ જે પિંડના પૃથ્વી સાથે ટકરાવવાથી બન્યું તેનું વજન લગભગ દસ લાખ ટન રહ્યું હશે.