પેલેસ્ટિનિયન વિદ્રોહી જૂથ હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ઈઝરાયેલના વડાપ્રધાને યુદ્ધની જાહેરાત કરી છે. એક વીડિયો સંદેશમાં બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે અમે યુદ્ધની પરિસ્થિતિથી ઘેરાયેલા છીએ અને અમે તેને જીતીશું. તેમણે વધુમાં કહ્યું કે અમે અમારા દુશ્મનોને એવો પાઠ ભણાવીશું જેની તેમણે કલ્પના પણ નહીં કરી હોય. નોંધનીય છે કે હમાસની સૈન્ય પાંખના એક નેતાનું કહેવું છે કે સશસ્ત્ર જૂથે ઈઝરાયેલ વિરુદ્ધ નવું સૈન્ય અભિયાન શરૂ કર્યું છે. એક જાહેર નિવેદનમાં, મોહમ્મદ ડેઇફે જણાવ્યું હતું કે ‘ઓપરેશન અલ-અક્સા સ્ટોર્મ’ શરૂ કરીને શનિવારે વહેલી સવારે ઇઝરાયેલ પર 5,000 રોકેટ છોડવામાં આવ્યા હતા. આ સિવાય ઈઝરાયેલે ગાઝા પટ્ટીમાંથી પણ ઘૂસણખોરીના અહેવાલ આપ્યા છે.
અનામત સૈનિકોને બોલાવવાનો આદેશ
હમાસ દ્વારા વિવિધ મોરચે કરવામાં આવેલા હુમલા બાદ ઈઝરાયેલના વડાપ્રધાનનું આ પ્રથમ નિવેદન છે. તેમણે અનામત સૈનિકોને બોલાવવાનો આદેશ પણ આપ્યો છે. આ સાથે વડાપ્રધાને દેશની સેનાને તે વિસ્તારો ખાલી કરવાનો આદેશ આપ્યો છે જ્યાં હમાસના ઘૂસણખોરો સાથે લડાઈ ચાલી રહી છે. આ દરમિયાન ઇઝરાયલી દળોએ ગાઝામાં નિશાનો પર હુમલો કર્યો. આ પછી તેલ અવીવ અને જેરુસલેમ સુધી હવાઈ હુમલાના સાયરન સતત વાગી રહ્યા હતા. સૈન્યએ અહેવાલ આપ્યો કે લડવૈયાઓએ અલગતા વાડને પાર કરી હતી અને ઇઝરાયેલ પર હવાથી હુમલો પણ કર્યો હતો.
રક્ષા મંત્રીએ કહ્યું કે તેમણે હુમલો કરીને ભૂલ કરી છે
હમાસના હુમલામાં બે ઈઝરાયેલના મોત થયા છે. ઈઝરાયેલના રક્ષા મંત્રીએ શનિવારે કહ્યું કે આતંકવાદી સંગઠન હમાસે ઈઝરાયેલ વિરુદ્ધ યુદ્ધ શરૂ કર્યું છે. તેણે દાવો કર્યો હતો કે ઈઝરાયેલ આ યુદ્ધ જીતશે. તેલ અવીવમાં ઇઝરાયેલના સૈન્ય મુખ્યાલયમાં કેબિનેટની બેઠક બાદ સંરક્ષણ પ્રધાન યોવ ગાલાંટે ચેતવણી આપી હતી કે હમાસે આજે સવારે દક્ષિણ અને મધ્ય ઇઝરાયેલ પર રોકેટ હુમલા કરીને મોટી ભૂલ કરી છે. ગાઝા પર શાસન કરતા આતંકવાદી જૂથ હમાસ અને ઇઝરાયેલ વચ્ચેના વર્ષોના સૌથી ગંભીર તણાવમાંના એકમાં, હમાસના બંદૂકધારીઓએ સરહદ પાર કરીને ઇઝરાયેલમાં અનેક સ્થળોએ પ્રવેશ કર્યો.