રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે. આગામી 1 અને 5 ડિસેમ્બરે મતદાન અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. ત્યારે ગાંધીનગરની ગાદી કબ્જે કરવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે આણંદ જિલ્લામાં આવેલી આંકલાવ બેઠક એટલે કોંગ્રેસનો ગઢ. અમિત ચાવડા હાલ ત્યાંથી ધારાસભ્ય છે. આંકલાવ વિધાનસભા વર્ષ 2012માં નવા સીમાંકન પછી અસ્તિત્વમાં આવી. એ પહેલા બોરસદ બેઠકમાં આ વિસ્તારનો સમાવેશ થતો હતો. આણંદ જિલ્લાની આંકલાવ વિધાનસભા બેઠક પર કુલ મતદારોની સંખ્યા 2 લાખ 25 હજાર 80 છે. જેમાં 1 લાખ 14 હજાર 846 પુરુષ અને 1 લાખ 10 હજાર 234 મહિલા મતદારો છે. જો કે છેલ્લી બે ટર્મથી આ બેઠક પર ભાજપનો ગજ વાગ્યો નથી. આ વખતે ભાજપે ગુલાબસિંહ પઢિયારને ઉમેદવાર બનાવ્યા છે. કોંગ્રેસનો ગઢ જીતવા માટે ખુદ સી.આર.પાટીલે કમર કસી લીધી છે. પરંતુ જ્યારે પાટીલ પ્રચાર માટે ગયા તો કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટી પર વધુ પ્રહાર કર્યા. નવાઈની વાત તો એ છે કે તેમણે કેજરીવાલને ચક્રમ કહી દીધા અને દિલ્લી સરકાર પર લાગેલા આરોપોનો ઉલ્લેખ કરતા તેમણે કેજરીવાલ કેમ જેલમાં નહીં જાય તેનું કારણ પણ જણાવી દીધું.