ભગવાન નરસિંહજીના વરઘોડાનું આયોજન કરાયું

admin
1 Min Read

વડોદરામાં દેવદિવાળીના પર્વે હાથી ઘોડા પાલખી જય નરહરી લાલકીના ગગનભેદી જયઘોષ સાથે નરસિંહજીની પોળમાંથી ભગવાન નરસિંહજીનો વરઘોડો નીકળ્યો હતો. ભવ્યાતિભવ્ય વરઘોડામાં જાનૈયારૂપી શહેરીજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. નીજ મંદિરથી વાજતે-ગાજતે નીકળેલો વરઘોડો માંડવી, ફતેપુરા રોડ થઇ તુલસીવાડી જશે. જ્યાં ભગવાન નરસિંહજીના માતા તુલસીજી સાથે વેદોક્ત મંત્રોચ્ચાર સાથે લગ્ન થશે.ભગવાના સાંજે લગ્ન કરવા માટે જાય તે પહેલાં સવારે 9 થી 4 દરમિયાન ચાંલ્લા વિધી યોજાઇ હતી. ચાંલ્લા વિધીનો લ્હાવો લેવા સાથે ભગવાનના ચરણ સ્પર્શનો લ્હાવો લેવા માટે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. સવારથીજ નીજ મંદિરમાં શ્રધ્ધાળુઓની અવર-જવર ચાલુ રહી હતી. જેના પગલે નરસિંહજીની પોળનો માહોલ ભક્તમય વાતાવરણમાં તરબતર રહ્યો હતો. ભગવાનના વરઘોડાનો સમય જેમ નજીક આવતો હતો. તેમ પોળમાં શ્રદ્ધાળુઓનો જમાવડો શરૂ થઇ ગયો હતો. પોળમાં આવેલા મકાનોની ગેલેરીઓમાં લોકોએ સ્થાન ગ્રહણ કરી લીધું હતું. તો એમ.જી. રોડથી તુલસીવાડી સુધીના માર્ગો ઉપર પણ શહેરના ખૂણેખૂણામાંથી શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા. આ સાથે મેયર ડો. જીગીશાબહેન શેઠ સહિત રાજકીય અગ્રણીઓ ભગવાનના દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા. વરઘોડાના માર્ગ ઉપર મેળા જેવો માહોલ થઇ ગયો હતો.સાંજે 5 વાગે નીજ મંદિરમાંથી અલૌકીક આભુષણોમાં સજ્જ થઇ ભગવાન પાલખીમાં શહનાઇના સૂર, શંખનાદ અને હાથીઘોડા પાલખી જય નરહરી લાલકીના જયઘોષ સાથે ભગવાનનો ભવ્ય વરઘોડો નીકળ્યો હતો.

Share This Article