કોરોના મહામારીને કારણે દેશ અને વિશ્વના અર્થતંત્ર પર ખુબ જ ખરાબ અસર થઈ છે. આવી સ્થિતિમાં, બધા દેશોની સરકારો માટે અર્થતંત્રને મજબૂત રીતે આગળ ધપાવવું એક મોટો પડકાર છે. ત્યારે આ સમયને ધ્યાનમાં રાખીને હવે પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે એક મોટી વાત કહી છે. જેમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે દેશની આગળની સ્થિતિને 1991ના આર્થિક સુધારાના સમય કરતા પણ વધુ કઠિન અને પડકારજનક ગણાવી છે.પૂર્વ વડા પ્રધાન ડો. મનમોહનસિંહે કહ્યું છે કે 1991 કરતાં પણ દેશના અર્થતંત્ર માટે મુશ્કેલ સમય આવી રહ્યો છે. પૂર્વ વડા પ્રધાન અને જાણીતા અર્થશાસ્ત્રીએ શુક્રવારે 1991નાં ઐતિહાસિક બજેટના 30 વર્ષ પૂરા થવાનાં પ્રસંગે જણાવ્યું કે, કોરોના રોગચાળાને કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આગળનો રસ્તો તે સમય કરતા વધુ પડકારજનક છે. નરસિંહરાવની આગેવાનીવાળી 1991 ની સરકારમાં મનમોહન સિંઘ નાણાં પ્રધાન હતા અને 24 જુલાઈ, 1991 ના રોજ પોતાનું પહેલું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટ દેશમાં આર્થિક ઉદારીકરણનો પાયો માનવામાં આવે છે.
બજેટ રજૂ કરવાના 30 વર્ષ પુરા થયા તે પ્રસંગ નિમિત્તે તેમણે કહ્યું હતું કે, “30 વર્ષ પહેલા 1991 માં, કોંગ્રેસ પાર્ટીએ ભારતના અર્થતંત્રમાં નોંધપાત્ર સુધારાની શરૂઆત કરી હતી અને દેશની આર્થિક નીતિ માટે એક નવો માર્ગ બનાવ્યો હતો.” છેલ્લા ત્રણ દાયકા દરમિયાન વિવિધ સરકારો આ માર્ગને અનુસરે છે અને દેશની અર્થવ્યવસ્થા ત્રણ હજાર અબજ ડોલરની થઈ ગઇ છે, અને તે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થામાંની એક છે. તેમણે કહ્યું, “કોંગ્રેસના ઘણા સાથીદારો સાથે સુધારણાની આ પ્રક્રિયામાં ભૂમિકા ભજવવાની તક મળી તે માટે હું ભાગ્યશાળી છું. તે મને ખૂબ ખુશી અને ગૌરવ આપે છે કે છેલ્લા ત્રણ દાયકામાં આપણા દેશમાં જબરદસ્ત આર્થિક પ્રગતિ થઈ છે. પરંતુ કોવિડને કારણે થયેલા વિનાશ અને કરોડોની નોકરીઓ જવાના નુકસાનથી હું ખૂબ દુખી છું. ”મનમોહનસિંહે કહ્યું,“ આરોગ્ય અને શિક્ષણના સામાજિક ક્ષેત્રો પાછળ રહી ગયા છે અને આપણી આર્થિક પ્રગતિની ગતિ સાથે આગળ વધ્યા નથી. આટલા બધા જીવન અને રોજગારી ગુમાવ્યા છે, એવું ન થવું જોઈતું હતું.