દુનિયાભરના જાણીતા પત્રકારો, વકીલો તથા નામાંકિત નેતાઓ સહિત અનેક લોકોનાં ફોનની જાસૂસી પેગાસસ સ્પાયવૅર દ્વારા કરવામાં આવી હોવાનો મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવી રહ્યો છે જેમાં ભારતના 40થી વધારે પત્રકારોનો સમાવેશ થાય છે. આ સિવાય ભારતમાં મંત્રીઓ, વિપક્ષના નેતાઓ, કાયદાકીય બાબતો સાથે સંકળાયેલા અગ્રણીઓ, બિઝનેસમેન, સરકારી અધિકારીઓ, વૈજ્ઞાનિકો, એક્ટિવિસ્ટ સહિત આશરે 300 લોકોની જાસૂસી કરવામાં આવી છે. આ માટે ઈઝરાયેલનું પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ જાસૂસી ઇઝરાયલની સર્વેલન્સ કંપની એએસઓ દ્વારા તાનાશાહી સરકારોને વેચવામાં આવેલી તકનીકથી થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે, કંપની આનો ઇનકાર કરે છે. પેગાસસ સ્પાયવેર એક એવો કમ્પ્યુટર પ્રોગ્રામ છે, જે આઇફોન અને એન્ડ્રોઇડ ડિવાઇસને અસર કરે છે. જેના મારફત ફોનને હેક કરી એના કેમેરા, માઈક, કન્ટેન્ટ સહિત તમામ પ્રકારની માહિતી મેળવી શકાય છે. આ સોફ્ટવેરથી ફોન પર કરવામાં આવેલી વાતચીતને પણ જાણી શકાય છે. તો બીજી બાજુ કંપનીનું કહેવું છે કે સૉફ્ટવેર ફક્ત માન્યતા પ્રાપ્ત એજન્સીઓને જ વેચવામાં આવે છે જેનો હેતુ ‘આતંકવાદ અને અપરાધો સામે લડવાનો’ છે.
જણાવી દઈએ કે પેગાસસ દ્વારા કથિત જાસૂસીનો અહેવાલ વૉશિંગ્ટન પોસ્ટ, ધ ગાર્ડિયન, લા મોંદે અને અન્ય 14 મીડિયા હાઉસે રવિવારે પ્રકાશિત કર્યો છે. તો બીજી બાજુ આના પર કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે જાણીએ છીએ કે તેઓ શું વાંચી રહ્યા છે – તમારા ફોન પર જે છે એ તમામ…ત્યારે આ મામલાને લઈને કેન્દ્રીય સૂચના-ઈલેક્ટ્રોનિક મંત્રાલયમાં અધિક સચિવ ડો. રાજેન્દ્રકુમારે કહ્યું કે 17 મીડિયા સંસ્થાનોના કંસોર્ટિમનો રિપોર્ટ તથ્યોને વેરિફાય કર્યા વગર એકતરફી રીતે બહાર પડાયો છે. રિપોર્ટ વાંચીને એવું જાણવા મળી રહ્યું છે કે એક સાથે તપાસકર્તા, અભિયોજક અને જજની ભૂમિકા ભજવવાની કોશિશ કરાઈ છે. ભારત એક લચીલું લોકતંત્ર છે અને તે પોતાના તમામ નાગરિકોની પ્રાઈવસીના અધિકારને મૌલિક અધિકાર તરીકે સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. અધિક સચિવે કહ્યું કે ખબરોથી સ્પષ્ટ છે કે લખનારાએ કોઈ રિસર્ચ કર્યું નથી અને પૂર્વ અધારણાના આધારે એકતરફી વિશ્લેષણ સંભળાવી દીધુ. ભારત સરકાર આ રિપોર્ટને સંપૂર્ણ રીતે ફગાવે છે