પાટણ જીલ્લાની રાધનપુરની સીટની પેટા ચૂંટણીમાં રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સીટ પર ભાજપ, કોંગ્રેસ અને એન.સી.પી.નો ત્રીપાંખીઓ જંગ જોવા મળી રહયો છે. ભાજપ અને કોંગ્રેસના આયાતી ઉમેદવાર સામે એન.સી.પી નાં સ્થાનિક ઉમેદવાર પણ બાજી મારી જાય એવી સંભાવનાઓ જોવાઇ રહી છે. ત્યારે આજે રેશ્મા પટેલે ભાજપના અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કરી સભાઓ ગજવી હતી. રાધનપુર બેઠકમાં આ વખતની ચૂંટણીમાં ભારે મતદાન થવાની શકયતા જોવાઇ રહી છે. ભાજપ માંથી આ વખતે અલ્પેશ ઠાકોર ફરી મેદાનમાં ઉતર્યા છે. જેણે કોંગ્રેસ સાથે કિનારો કરી ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. તો કોંગ્રેસ તરફથી રઘુ દેસાઈ મેદાનમાં છે. ત્યારે આ બંને દિગ્ગજોને ટક્કર આપવા એન.સી.પીએ રાધનપુરના સ્થાનિક આગેવાન અને કેળવણી તેમજ સામાજિક કાર્યકર ફરશુભાઈ ગોકલાણીને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. રાધાનપુરમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારને રંગા બીલ્લાની જોડી ગણાવી. અલ્પેશ ઠાકોરે સમાજ સાથે ગદ્દારી કર્યો છે. આપણે સમાજના નામે ભાગલા પાડવાવાળા ને જાકારો આપો. અલ્પેશ ઠાકોર દ્વારા ગત વિધાનસભામાં આપેલા વચનો એકપણ પુરા નથી કરાયા. જોકે રાધનપુરની બેઠક પર ત્રિપંખીયા આ જંગમાં કોણ બાજી મારે છે એ તો ચૂંટણી પરિણામો જ સાબિત કરશે.