પાટણ શહેરમાં કરફ્યુનો લાભ ઉઠાવી તસ્કરો મંદિરની જાળી તોડી ચોરી કરી ફરાર થઈ ગયાની ઘટના પ્રકાશમાં આવી છે. મળતી વિગત અનુસાર પાટણ શહેરના ગોળશેરીના નાકે આવેલા રામજી મંદિરની જાળી તોડી અંદર પ્રવેશી તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જેમાં ચાંદીના મઢેલા ત્રણ કિલોના મંડપની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. અંદાજે બે લાખના મુદ્દામાલની ચોરી થઇ હોવાનું મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યું હતું.
મંદિરમાં ચોરી થયાની જાણ સવારમાં ટ્રસ્ટીને થતાં મંદિરના ટ્રસ્ટી દ્વારા પોલીસને જાણ કરાઇ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવી આગળની તપાસ હાથ ધરી હતી. આ અંગે સુરેશ પટેલે જણાવ્યું હતું કે, મંદિરની સુરક્ષા સામે સવાલ ઉભો થયો છે. અગાઉ મંદિરમાં ચાર વાર આભૂષણો સહિત વસ્તુઓની ચોરીના બનાવો બન્યા છે. પરંતુ એક પણ ચોરીનો ભેદ ઉકેલાયો નથી. ત્યારે વધુ એક ચોરી થતા ભક્તોની લાગણી દુભાઈ છે અને સત્વરે પોલીસ ચોરોને પકડી કાર્યવાહી કરે તેવી અમારી માંગણી છે