રાજકોટ : સરકાર રસી પુરી પાડવામાં નિષ્ફળ: કોંગી નેતા

admin
1 Min Read

રાજકોટમાં છેલ્લા 3 દિવસથી વેક્સિનની પ્રક્રિયા ખોરવાય છે. ત્યારે આ મુદ્દે ગુજરાત કોંગ્રેસના ઉપાધ્યક્ષ ડો. હેમાંગ વસાવડા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેઓએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, મુખ્યમંત્રીના હોમ-ટાઉનમાં વેક્સિન માટે પ્રજા વલખાં મારી રહી છે, તંત્રનું આયોજન તીતર ભીતર છે. રાજકોટમાં છેલ્લા 10 દિવસથી રસીની ભંયકર તંગીથી મોટાભાગના રસીકરણ કેન્દ્રો બંધ છે. સરકાર રસી પુરી પાડવામાં નિષ્ફળ ગઈ છે. પોલીસ ફેરિયા કે વેપારીઓને હેરાન કરશે અને કોઇ કાર્યવાહી કરશે તો કોંગ્રેસ કાયદાકીય રક્ષણ આપશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વેક્સિનેશન બાબતે સરકાર સતત ખોટું બોલે છે અને આંકડા છૂપાવે છે.

સરકાર પ્રથમ ડોઝ અને બીજો ડોઝ કેટલા વ્યક્તિએ પુરા કર્યા તેની માહિતી ઇરાદાપૂર્વક છુપાવે છે. વસાવડાએ મુખ્યમંત્રીને સીધો સવાલ પૂછ્યો હતો કે, છેલ્લા 15 દિવસમાં રાજકોટને કેટલી વેક્સિન અને કંઈ વેક્સિન અપાય તેનો જવાબ આપે. વિવિધ સંસ્થાઓને રસીકરણ કેમ્પ માટે કેટલી મંજૂરી આપી, હાલ કેટલી મંજૂરી પેન્ડિંગ છે એ જાહેર કરે. ડો.હેમાંગ વસાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, વેપારીઓને 30 જૂન સુધીમાં વેક્સિન ફરજીયાત લેવાનો નિર્ણય રદ કરે. કારણ કે, વેક્સિન ઉપલબ્ધ નથી અને વેક્સિન ન લીધી હોવાના કારણે પોલીસ કે અન્ય તંત્ર વેપારીઓને હેરાન કરે તો કોંગ્રેસે જાહેર કરેલા હેલ્પલાઇન નંબરમાં સંપર્ક કરવા અપીલ કરવામાં આવે છે.

Share This Article