રાજકોટના મેયરને લોકોના રોષનો ભોગ બનવું પડ્યું છે. મેયરને લોકો ઘેરી વળ્યા હતા અને તેમને પોતાના પ્રશ્નોની રજૂઆત કરી હતી. જેનો વીડિયો ત્યાં હાજર એક વ્યક્તિએ મોબાઈલમાં ક્ડારી લીધો હતો. આ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. રાજકોટના મેયર બીના આચાર્યને લોકોએ લાખાજીરાજ રોડ પર ઘેર્યા હતા. લોકોએ નિયમિત ન થઈ રહેલી સાફ સફાઈને મુદ્દે મેયરને ઘેર્યા હતા. તેમણે આ મામલા પર ઉગ્ર રજૂઆત કરી હતી. સાફ સફાઈને લઈને લોકોએ મેયર સામે રોગો ફેલાવાનો ભય હોવાના ડરથી રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકાએ દિવાળીના પર્વમાં વેપારી વિસ્તારમાં સફાઇ અભિયાન હાથ ધર્યું હતું. આ અભિયાન દરમિયાન રોડ પર કચરો ફેંકતા 22 વેપારી પાસેથી રૂ.15500નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. બાદમાં પદાધિકારીઓ વેપારી વિસ્તારની મુલાકાત લેતા વેપારીઓએ મનપાના અધિકારીઓ ખોટી રીતે દંડની વસૂલાત કરતું હોવાની અને સફાઇ નહીં થતી હોવા અંગે ઉગ્ર રજૂઆત કરી હતી. હોટેલ સંચાલક જોહરમાં કચરો નાખતા હોવાથી રોડ પર ગંદકી થતી હોવાની રજૂઆત પણ કરી હતી.