નેચર, પ્રકૃતિ, પર્યાવરણ આ શબ્દો તો આપણે ઘણીવાર સાંભળ્યા છે. આપણે ઘણીવાર એવું પણ સાંભળ્યું છે કે મનુષ્ય જંગલ છોડી ગામડાં કે શહેરમાં આવ્યો અને હવે પાછો જંગલમાં જઈ ત્યાંની વાઈફાઈ લાઈફને ડિસ્ટર્બ કરી રહ્યો છે અને કદાચ એટલે જ હવે જંગલી પશુઓ માનવ વસવાટમાં આંટા મારતા જોવા મળે છે. આજે આપણે વાત કરવી છે એવી એક રાજકોટની નેચરપ્રેમી હિના ચાવડાની. હિનાએ માત્ર 16 વર્ષની ઉંમરથી જ સાપને રેસ્ક્યૂ કરવાનું કાર્ય શરૂ કરી દીધું હતું. હિનાએ અત્યારસુધીમાં 50 જેટલા નાગ-સાપ પકડી પાડ્યા છે, જેમાં જીવના જોખમે ઝેરીલા કોબ્રા અને સ્નાઇપર સાપને પણ ચપટી વગાડી પકડી પાડ્યા છે.કોબ્રા, રોલ, સ્નાઇપર જેવા ઝેરીલા સાપોનાં નામ સાંભળતાં જ જ્યારે લોકો ડરી જાય છે ત્યારે હિના ચાવડાની આવા ખતરનાક સાપો સાથે રમતાં રમતાં એને રેસ્ક્યૂ કરે છે.
રાજકોટના સોરઠિયાવાડી સર્કલ પાસે રહેતી હિના ચાવડા આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં બી.એ.નો અભ્યાસ કરે છે અને સાથોસાથ સાપને રેસ્ક્યૂ કરવાની ઉમદા કામગીરી પણ કરે છે. હિનાના જણાવ્યા પ્રમાણે, સાપ કે અન્ય વન્યજીવ એ પ્રકૃતિ સાથે જોડાયેલા છે અને જો એને પ્રકૃતિ પ્રમાણે જ કામ કરવા દેવામાં આવે તો એ કોઈ નુકસાન પહોંચાડતા નથી. જેમ દરેક જીવને પોતાનો જીવ વહાલો હોય એમ સાપને પણ પોતાનો જીવ વહાલો હોય છે, એટલે જ્યારે એ મનુષ્યોની વચ્ચે આવે છે ત્યારે એ પણ ગભરાય જાય છે. એનાથી ડરવાની જરૂર નથી, એ પણ એના ખોરાકની શોધમાં આવે છે.