હિંમતનગર શહેરમાં વગર મંજૂરીએ ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલ ધમધમતી રહી હોવાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. કલેક્ટરે સંજ્ઞાન લેતા તમામ વિગતો મંગાવી કાર્યવાહી હાથ ધરી છે. વગર મંજૂરીએ કોરોના દર્દીઓની સારવાર કરી રહેલ તબીબે સેવા કરી રહ્યાનો દાવો કર્યો હતો.હિંમતનગરના ઓવરબ્રિજ નજીક શાન હોસ્પિટલમાં વિના મંજૂરીએ કોરોના દર્દીઓની સારવાર થઇ રહ્યાનો મામલો બહાર આવતાં આરોગ્ય વિભાગની બેદરકારી બહાર આવી છે. શહેરમાં આવી ઘણી હોસ્પિટલોમાં વગર મંજૂરીએ કોરોના દર્દીઓની સારવાર થઈ રહી હોવાનો તબીબે દાવો કર્યો હતો.
એપેડેમીક ઓફીસર ડો. ચિરાગ મોદીએ જણાવ્યું કે તા.15-01-21 ના રોજ શાન હોસ્પિટલની ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલ તરીકેની મંજૂરી રદ કરાઇ હતી અને નવા નિયમો મુજબ કોવિડ હોસ્પિટલની મંજૂરીને સત્તા સીડીએમઓ – મુખ્ય જિલ્લા તબીબી અધિક્ષકને આપવામાં આવી છે.ઇન્ચાર્જ સીડીએમઓએ જણાવ્યું કે નવી કોઈ મંજૂરી આપવામાં આવી નથી. સમગ્ર મામલે હોસ્પિટલના તબીબ ડો. એમ.એ. પોથીગરાએ જણાવ્યું કે હું સેવા કરું છું દર્દી આવીને એડમિટ થઈ જાય તો શું કરુ ? માનવતાનું કામ છે આ અંગે કલેક્ટર સાથે પણ વાત થઈ ગઈ છે ! ઘણી હોસ્પિટલો આવી રીતે ચાલી રહી છે તેમને પૂછોને. કલેક્ટર રાજેન્દ્રકુમારે ત્વરીત સંજ્ઞાન લીધું હતું અને જણાવ્યું કે સીડીએમઓ પાસે તમામ વિગતો મંગાવી છે અને કાર્યવાહી હાથ ધરી છે