રક્ષાબંધન પર્વ નિમિત્તે કોઈપણ બહેન ગમે તેવા સંજોગોમાં પણ પોતાના ભાઈને રાખડી બાંધી આ તહેવારની ઉજવણી કરતી હોય છે અને ભાઈના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરતી હોય છે પરંતુ બનાસકાંઠા જિલ્લામાં એવી કેટલીય બહેનો છે કે જેઓ પોતાના ભાઈને રાખડી તો નથી બાંધી શકતી પરંતુ વર્ષોથી તેમણે પોતાના ભાઈનો ચહેરો પણ નથી જોયો. બનાસકાંઠા જિલ્લાના થરાદમાં એવી કેટલીય બહેનો છે કે જેઓ આ પવિત્ર પર્વની ઉજવણી નથી કરી શકતી કારણકે તેઓને દેશની સરહદો નડે છે. જી હા, ભારત પાકિસ્તાન ની સરહદો આ ભાઈ બહેન ને મળતા રોકે છે આ પવિત્ર સંબંધનો પર્વ રક્ષાબંધનને ઉજવતા સરહદો નડી રહી છે કારણ કે 1971માં જ્યારે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું ત્યારે કેટલાક પરિવારો બે ભાગમાં વહેંચાઈ ગયા હતા. જેમાં કેટલાય પરિવારો પોતાના ભાઈ કે માતા-પિતાથી છૂટા પડી ભારતમાં આવી ગયા હતા અને કેટલાક પરિવારો પાકિસ્તાનમાં રહી ગયા હતા. 1971 પછી ભારતમાં આવ્યા બાદ હજુ સુધી આવા પરિવારોને પાકિસ્તાન જવા માટે કોઈપણ પ્રકારના વિઝા મળતા નથી જેના કારણે જે લોકો ભારતમાં આવીને વસવાટ કર્યો છે. તેઓ પાકિસ્તાનમાં વસતા પોતાના સંબંધીઓને મળી શકતા નથી. બનાસકાંઠાના થરાદના શિવનગર વિસ્તારમાં આવા ૨૦૦ જેટલા પરિવારો છે કે જેમના ભાઈ-બહેન કે માતા-પિતા પાકિસ્તાનમાં રહેતા હોય અને તેઓ અહીં આવે છે પરંતુ દર વર્ષે રક્ષાબંધનના દિવસે આવી બહેનો પોતાના ભાઈને રાખડી નથી બાંધી શક્તિ તેનો વસવસો કરે છે .