સુરતમાં કોરોના મંદ પડતા નવી સિવિલ ખાતે કોરોનાની સારવાર લેવા આવતા દર્દીઓની સંખ્યામાં ધટાડો થઇ રહ્યો છે.આવા સંજોગોમાં કોન્ટ્રકટ બેઝ પર ભરતી કરવામાં અંદાજીત 512 સફાઇકામદાર સહિતના કમર્ચારીઓને આગામી માસ સુધીમાં છુટા કરવા વિચારણા ચાલી રહી છે.સુરત શહેરમાં દોઢ માસ પહેલા કોરોના રફતાર તેજ થતા કેસમાં અને મૃત્યુઆંકમાં વધારો થઇ રહ્યો હતો. આવી પરિસ્થિતિમાં સુરત નવી સિવિલ તથા કોવિડ હોસ્પિટલ અને કિડની બિલ્ડીંગમાં કોરોના દર્દી સારવાર માટે દાખલ કર્યા હતા.તેવા સમયે નવી સિવિલ તંત્ર દ્વારા દર્દીઓ તકલીફ નહી પડે અને કામગીરી ઝડપથી થાય તે હેતુથી સફાઇ કામદાર, લેબ ટેકનીશીયન, ઓપરેટર સહિતના કર્મચારીઓ કોન્ટ્રાકટ પર ભરતી કરવામાં આવી હતી.
સિવિલ ખાતે ત્રણ બિલ્ડીંગમાં વર્ગ-૪ના 900, ઓપરેટર 116, ઇ.સી.જી ટેકનીશીયન 12, લેબ ટેકનીશીયન 40 સહિતની કર્મચારીઓ ફરજ બજાવતા હતા.ત્રણ બિલ્ડીંગમાં કોરોના સહિતના દર્દી મોત પણ વધુ થઇ રહ્યા હતા. જેથી કોરોના ગાઇડ લાઇન પર મૃતદેહ પેકિંગ અને ડિસઇન્ફેકટ કરવા માટે 56 જેટલા કોન્ટ્રાકટરના કર્મચારી કામ કરતા હતા. જયારે હાલમાં નવી સિવિલ ખાતેથી કોરોનામાં દાખલ કેસમાં સતત ઘટાડો થઇ ગયો છે. જેથી આવતા માસ સુધીમાં વર્ગ 4ના 400, ઓપરેટર 46, ઇ.સી.જી ટેકનીશીયન 2, લેબ ટેકનીશીયન 8 તથા મૃતદેહ પેકિંગ કરનાર 56 જેટલા સહિતના કર્મચારીને આગામી માસમાં છુટા કરવા અંગે સિવિલ તંત્ર વિચારી રહ્યું છે. જોકે થોડા દિવસમાં કોરોના ફરી વકરશે તો આ કર્મચારીઓને છૂટા કરાશે નહી એમ સૂત્રોએ જણાવ્યું હતું