કોરોના ક્રિટીકલ દર્દીઓ માટે પ્લાઝમાની સારવાર ઘણી આશિર્વાદરૂપ નીવડે છે. પ્લાઝમા ડોનેશન માટે સુરતના શહેરીજનો રાજ્યભરમાં અગ્રેસર રહ્યા છે, ત્યારે ૨૦૨૦ના વર્ષમાં કોરોનાના પ્રથમ ફેઝમાં ૧૦૦ દિવસની લાંબી સારવાર લઈને કોરોનામુક્ત થયેલાં સુરતના ૩૯ વર્ષીય એનેસ્થેટીસ્ટ ડો.સંકેત મહેતાએ પ્લાઝમાનું દાન કરીને સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે. કોરોના વોરિયર ડો.સંકેત મહેતા ગયા વર્ષે સપ્ટેમ્બર માસમાં કોરોનાગ્રસ્ત બન્યાં ત્યારે તેઓ બાપ્સ હોસ્પિટલમાં આઈ.સી..યુ.માં ઓક્સિજન પર હોવા છતાં બાજુના અન્ય ગંભીર દર્દીને ઈન્ટ્યુબેશન કરીને તેનો જીવ બચાવ્યો હતો.
સુરતના પાલ વિસ્તારમાં રહેતાં અને લાઈફલાઈન હોસ્પિટલમાં એનેસ્થેટીસ્ટ તરીકે ફરજ નિભાવતા ડો.સંકેત મહેતાએ જણાવ્યું હતું કે, કોવિડના પહેલાં ફેઝમાં સંક્રમિત થયો ત્યારે મેં કોરોના સામે જીવનમરણનો સંઘર્ષ કર્યો હતો. બાપ્સમાં વેન્ટીલેટર પર રહ્યો,પણ સ્થિતિ ન સુધરતા એક્સ્ટ્રાકોર્પોરિયલ મેમ્બ્રેન ઓક્સિજન-ECMO પર રાખવામાં આવ્યો હતો. સુરતમાં દોઢ મહિનો અને ત્યારબાદ વધુ સારવાર અર્થે દોઢ મહિનો ચેન્નાઈની એમ.જી.એમ. હોસ્પિટલમાં સારવાર લીધી હતી. સદ્દનસીબે ૧૦૦ દિવસની મેરેથોન સારવાર બાદ કોરોના સામેનો જંગ જીતી ગયો હતો. ત્યારે આપણા પ્લાઝમા કોઈ કોરોના દર્દીના જીવનરક્ષક બને છે. ત્યારે દરેક વ્યક્તિઓ સ્વૈચ્છિક રીતે આગળ આવીને આ મહામારીને નાથવામાં સહયોગ આપવાની અપીલ તેમણે કરી હતી.