રાજ્યમાં કોરોનાના કેસો કાબુ બહાર જઈ રહ્યા છે. કોરોના સામેની લડાઈમાં રાજ્ય સરકારની નબળી કામગીરીને લઈને ગુજરાત હાઈકોર્ટ પણ ઝાટકણી કાઢી ચૂકી છે, ત્યારે હવે સરકારની ઈજ્જત બચાવવા હવે ભાજપના પ્રદેશ પ્રમુખ મેદાનમાં આવ્યા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે આજે વેબીનાર યોજીને પ્રદેશના હોદ્દેદારો, ધારાસભ્યો, સાંસદો, તાલુકા-જિલ્લા પંચાયતના પદાધિકારીઓ અને 8 મનપાના મુખ્ય 5 હોદ્દેદારોને સરકારની મદદ માટે આગળ આવવા આદેશ કર્યો છે.
ભાજપ પ્રદેશ પ્રમુખે ભાજપના ધારાસભ્યો અને સાંસદોને 100-100 બેડના કોવિડ સેન્ટર બનાવવા પણ કહ્યું છે. સીઆર પાટીલે સુરતના મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવી અને કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાનું ઉદાહરણ આપતા અન્ય ધારાસભ્યો અને સાંસદોને પણ કોવિડ સેન્ટર બનાવવા અનુરોધ કર્યો, જેથી સરકારી હોસ્પિટલો પર ભાર ઘટી શકે.