બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના શિરવાડા ગામે એક એવી ઘટના બની છે કે તેને શ્રદ્ધા કહેવી કે અંધશ્રદ્ધા તે એક પ્રશ્ન છે. કાંકરેજના શિરવાડા ગામે ગોગાજી મંદિરમાં વહેલી સવારે સાપ જોવા મળતા લોકો મોટી સંખ્યામાં દર્શને ઉમટી પડ્યા હતા. મળતી માહિતી મુજબ, બનાસકાંઠાના કાંકરેજના શિરવાડા ગામે મંદિરમાં સાપ હોવાની વાત વાયુ વેગે ગામમાં પ્રસરી જતા લોકોના ટોળેટોળા મંદિર પાસે ઉમટી પડ્યા હતા. મંદિરમાં સાપને જોઈ લોકો કુતુહલતા પૂર્વક તેને જોઈ તેના પર ફુલહાર અને કંકુ ચોખા ચડાવી દર્શન કરવા લાગ્યા હતા.જોકે આ ઘટનાને અંધશ્રદ્ધા તરીકે પણ ગણવામાં આવી રહી છે. મહત્વનું છે કે, આ પહેલા પણ બનાસકાંઠામાં ઘણા અંધશ્રદ્ધાના કિસ્સાઓ સામે આવી ચુક્યા છે…ત્યારે વધુ એક કિસ્સો સામે આવતા આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.