ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો ઘટ્યો

admin
1 Min Read

છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હતું. જોકે, આ સંક્રમણ હવે ઘટતું હોય તેવુ લાગી રહ્યું છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસો સાથે તેમજ સાજા થયેલા દર્દીઓના આંકડા બાદ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યમાં 13 ઓક્ટોબર સાંજથી 14 ઓક્ટોબર સાંજ સુધીમાં 1175 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં 24 કલાકમાં 1175 પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા વધીને 1,55,098 થઈ છે. તો બીજીબાજુ રાજ્યમાં એક જ દિવસમાં 1414 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. રાજ્યમાં 24 કલાકમાં વધુ 11 દર્દીના કોરોનાથી મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 3598 થયો છે. જ્યારે અત્યાર સુધી રાજ્યમાં કુલ 1,36,541 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં આજે નોંધાયેલ કેસોમાં સૌથી વધુ કેસ ફરી એકવાર સુરતમાં સામે આવ્યા છે. સુરતમાં 24 કલાકમાં 252 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 182, વડોદરામાં 117 અને રાજકોટમાં 105 કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગરમાં 20, જામનગરમાં 85, પંચમહાલમાં 19, અમરેલીમાં 28, સુરેન્દ્રનગરમાં 23 કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં કુલ 14959 એક્ટિવ કેસ હોવાની વિગત સામે આવી છે. જે ગત રોજ 15209 હતા.

Share This Article