16 જાન્યુઆરીથી દેશભરમાં વેક્સિનેશન અભિયાનની શરુઆત કરવામાં આવી છે. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાએ કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ ગુરૂવારે લીધો છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. આ સાથે તેમણે અન્ય લોકોને પણ રસી લેવાની અપીલ કરી છે. નોંધનીય છે કે, પહેલી માર્ચના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કોરોનાની રસી લીધી હતી.
પીએમ મોદીએ દિલ્હીની AIIMSમાં કોવિડ-19 વેક્સીનનો પહેલો ડોઝ લીધો હતો. પીએમ મોદીએ આજે ટ્વિટ કરીને માતા હીરા બાએ કોરોનાની રસી લીધી છે તેની જાણ કરી છે. તેમણે ટ્વિટમાં જણાવ્યું છે કે, મને જણાવતા આનંદ થાય છે કે, મારી માતાએ આજે COVID-19 રસીનો પ્રથમ ડોઝ લીધો છે. હું દરેકને વિનંતી કરું છું કે, તમારી આસપાસના રસી લેવા લાયક લોકોને રસી લેવા માટે મદદ અને પ્રેરણા આપો.
જ્યારે પીએમ મોદીએ કોરોનાની રસી લીધી હતી ત્યારે પીએમ મોદીએ રસી લેતો પોતાનો ફોટો શેર કરીને લખ્યું હતુ કે, ‘આજે મેં કોવિડ-19 વેક્સીનનો પહેલો ડોઝ AIIMSમાં લીધો છે. મહત્તવનું છે કે, ભારતમાં કોરોના વાયરસે ફરીથી માથું ઉંચક્યું છે. ગયા વર્ષે 25 ડિસેમ્બર બાદ ગત રોજ સૌથી વધુ સંક્રમિત કેસો નોંધાયા છે, એટલે કે 76 દિવસ બાદ ફરીથી સંક્રમિતોનો આંક 22 હજારને પાર થઈ ગયો છે.