રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ઘટાડો યથાવત

admin
1 Min Read

છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હતું. જોકે, આ સંક્રમણ હવે ઘટતું હોય તેવુ લાગી રહ્યું છે. જેના કારણે એક્ટિવ કેસોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 17 ઓક્ટોબર સાંજથી 18 ઓક્ટોબર સાંજ સુધીમાં 1091 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં 24 કલાકમાં 1091 પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા વધીને 1,59,726 થઈ છે.

તો બીજીબાજુ રાજ્યમાં એક જ દિવસમાં 1233 દર્દીઓએ કોરોનાને માત આપી છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. રાજ્યમાં 24 કલાકમાં વધુ 9 દર્દીના કોરોનાથી મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 3638 થયો છે. જ્યારે અત્યાર સુધી રાજ્યમાં કુલ 1,41,652 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં આજે નોંધાયેલ કેસોમાં સૌથી વધુ કેસ ફરી એકવાર સુરતમાં સામે આવ્યા છે. સુરતમાં 24 કલાકમાં 239 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 179, વડોદરામાં 119 અને રાજકોટમાં 107 કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગરમાં 18, જામનગરમાં 84, પંચમહાલમાં 10, અમરેલીમાં 19, સુરેન્દ્રનગરમાં 21 કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં કુલ 14436 એક્ટિવ કેસ હોવાની વિગત સામે આવી છે.

Share This Article