ગુજરાત-ગુજરાતના આ ૪ શહેરો અતિપ્રદુષિત

admin
2 Min Read

ગુજરાતમાં વાયુ પ્રદૂષણ સામે યોગ્ય પગલાં લેવની માગણી સાથે કરાયેલી જાહેર હિતની રિટમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે સોગંદનામા દ્વારા જવાબ રજૂ કર્યો હતો કે, રાજ્યના ચારેય મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાની જોખમી રીતે પ્રદૂષિત છે. તેમજ અહીંની હવાની ગુણવત્તા યોગ્ય માપદંડ પ્રમાણેની નથી. બોર્ડનો જવાબ છે કે દેશના ભયજનક રીતે પ્રદૂષિત ૧૦૨ શહેરોની યાદીમાં આ ચારેય શહેરોનો સમાવેશ થાય છે. ગુજરાત જ એકમાત્ર એવું રાજ્ય નથી જ્યાં ઉદ્યોગોમાં ઇઁધણ તરીકે કોલસાનો ઉપયોગ થાય છે, પરંતુ તેના માટે વિવિધ તકેદારી બાદ જ મંજૂરી અપાય છે.

કોર્ટે રિટની વધુ સુનાવણી ૧૨મી ઓક્ટોબરના રોજ નિયત કરી છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આપવામાં આવેલા જવાબમાં કહેવામાં આવ્યું છે કે કોમ્પ્રિહેન્સિવ એન્વાયરન્મેન્ટલ પોલ્યુશન ઇન્ડેક્ષના મૂલ્યાંકન પ્રમાણે વટવા, વાપી, અંકલેશ્વર, સુરત,વડોદરા અને રાજકોટને જોખમી રીતે પ્રદૂષિત અને ભાવનગર, મોરબી, જૂનાગઢ, ઓઢવ અને નરોડાને ગંભીર રીતે પ્રદૂષિત જાહેર કરવામાં આવ્યા છે. આ અંગે બોર્ડ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. અને તેને કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની મંજૂરી પણ મળી છે. આ પ્લાન હેઠળ ૧૫ વર્ષ જૂના વાહનો પર પ્રતિબંધ, ઉદ્યોગો સામે શિક્ષાત્મક કાર્યવાહી સહિતના પગલાંઓની જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત ઇંટોના ભઠ્ઠા સહિતના પ્રદૂષણ ફેલાવતા સ્થળો પર એર પોલ્યુશન કન્ટ્રોલ ડિવાઇસ અને સ્વચ્છ ટેકનોલોજીના ઉપયોગનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે.બ

Share This Article