વડોદરાના ડભોઇ તાલુકાના તેનતલાવ ગામ પાસે કેનાલમાં સ્કોર્પિયો કાર ખાબકી હોવાની ઘટના સામે આવી છે. તેનતલાવ ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં આ કાર ખાબકી હતી. જેને લઈ લોકોના ટોળેટોળા કેનાલ નજીક ઉમટી પડ્યા હતા. જોકે, આ કાર કેનાલમાં ખાબકી હોવાની જાણ સ્થાનિક તંત્રને થતા ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.
ફાયર બ્રિગેડની ટીમે સ્થાનિક લોકોની મદદથી કેનાલમાં ખાબકેલી કારને બહાર કાઢવા પ્રયાસ હાથ ધર્યા હતા. સાથે જ કારમાં સવાર લોકોને બચાવવા માટે તરવૈયાઓની પણ મદદ લેવામાં આવી હતી. જોકે, હજી સુધી એ અંગેની માહિતી સામે આવી નથી કે કારમાં કોણ સવાર હતુ. પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી આ અકસ્માત છે કે પછી આકસ્મિક રીતે કાર કેનાલમાં ખાબકી છે તે અંગેની જાણકારી મેળવવા તજવીજ હાથ ધરી છે.